જાહેર રજાના કારણે 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં ફેરફાર: કાર્યક્રમ 24મી ડિસેમ્બરે યોજાશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાતો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલો યોજવામાં આવશે.
સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે ‘રાજ્ય સ્વાગત’ યોજવામાં આવે છે. પરંતુ, ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવારે (તા. 25 ડિસેમ્બર) નાતાલની જાહેર રજા હોવાથી, હવે આ કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બર 2025 ના રોજ યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે નાગરિકો આ કાર્યક્રમ હેઠળ પોતાની રજૂઆતો કરવા માંગતા હોય, તેઓએ નીચે મુજબની વિગતોની નોંધ લેવી.બુધવાર, 24મી ડિસેમ્બર, સવારે 8:00 થી 11:00 કલાક દરમિયાન.મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર.નાગરિકોએ ઉપર દર્શાવેલ સમયે રૂબરૂ આવીને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે બપોર બાદ આ ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે તથા તેના ઝડપી નિવારણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે આ અભિનવ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દાયકાથી આ કાર્યક્રમ લોકોની સમસ્યાઓના ઉકેલ માટેનું એક સબળ માધ્યમ સાબિત થયો છે.
