જેતલપુરમાં સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં યોજાયો મહામહોત્સવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં ઉપસ્થિત
Live TV
-
જેતલપુરમાં સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં મહામહોત્સવ યોજાયો છે, આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર'માં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે(11 માર્ચ) સ્વામિનારાયણ ભગવાને પોતે જેતલપુર ધામની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે.
આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે.
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્ય બાબુભાઈ પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
