ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો તારીખ ૩૦ મે સુધી લંબાવાયો
Live TV
-
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને લઇને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો 15 દિવસ લંબાવવા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી તા. 30 મે 2022 સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત વર્ષ 2021-22માં ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 6,300 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ગત તા.15 ફેબ્રુઆરી-2022થી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 8,617 ખેડૂતો પાસેથી રૂ. 104 કરોડની કિંમતની 16,480 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.15 મે 2022ના રોજ પૂર્ણ થયો હતો જે હવે તા.30 મે 2022 સુધી લંબાવાયો છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
