થાનગઢમાં ખનીજ માફિયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા, રૂ.10.80 લાખનો મુદ્દામાલ જપ્ત, કોલસા ખનન કરનાર 6 સામે કાર્યવાહી
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. 15 કુવાઓ પરથી રૂ.10.80 લાખનો મુદ્દામાલ જપ્ત, 6 સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં સરકારી સર્વે નંબર 356 તેમજ ખાનગી સર્વે નંબર 357, 358, 359 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતાં 15 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં 120 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી અને 15 બકેટ સહિત કુલ રૂ. 10,80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલને મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ગેરકાયદેસર કોલસાનું ખોદકામ કરનારા ઈસમોમાં જીવણભાઈ હામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરશીભાઈ સવજીભાઈ, ગોરધનભાઈ સવશીભાઈ (તમામ રહે. ખાખરાળી, થાનગઢ), સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુભાઈ ભરવાડ (બંને રહે. થાનગઢ)નો સમાવેશ થાય છે.
આજુબાજુના વિસ્તારમાં કુલ 7 કોલોનીમાં 79 ઝૂંપડાઓ જોવા મળ્યા હતા. જેઓ મધ્યપ્રદેશ અને દાહોદના પરપ્રાંતીય મજૂરો રહેતા હતા. આ તમામ મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવીને રવાના કરવામાં આવ્યા હતા.
