નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી:ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી ભવનાથ અને હર હર મહાદેવ દેવનો જયકાર કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મહામેળાને લાખો શિવભક્તોએ સાથે મળીને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે, સાથે જ તેમણે કહ્યું કે, ગિરનારી આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યાં છે. ભાવિકોને ગર્વ થાય તેવા મહાશિવરાત્રીના મેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આ ભવ્ય અને દિવ્ય મેળાના આયોજન માટે પ્રભારી મંત્રીઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતો, વહીવટી તંત્ર જે જહેમત ઉઠાવી છે, તે માટે સર્વે આયોજકોને અભિનંદન આપ્યા હતા.તેમણે ખાસ ઉતારા મંડળ દ્વારા જે મહાશિવરાત્રીના મેળામાં પ્રસાદ સ્વરૂપે ભોજન સેવામાં આપવામાં આવે છે, તેને રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત તેમણે મહાશિવરાત્રીના મેળામાં પધારતા સહિતના ભાવિકોને પવિત્ર ભૂમિ ગિરનારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી અને કચરો ન ફેકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો. તેમણે ભાવિકોને સ્વચ્છતા જાણવા માટે સહયોગ આપવા અપીલ કરતાં કહ્યું કે, કચરો જ્યાં ત્યાં ફેકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય. આ સાથે તેમણે યાત્રાધામોની ભૂમિની પવિત્રતા જાળવવા સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.તેમણે લોક સાહિત્યકાર રાજભા ગઢવી સુંદર પ્રસ્તુતિ માટે આભાર પ્રગટ કરવાની સાથે સુપ્રસિદ્ધ ગાયકા બહેન મૈથીલી ઠાકુરનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય સંજય કોરડીયા, ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મેળા અધિકારી કરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારી સહભાગી બન્યા હતા.
