પંચાયત મંત્રીના હસ્તે ગામમાં 8 લાખના વિકાસ કામોનું કરાયું લોકાર્પણ
Live TV
-
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના સ્થાપના દિન નિમિત્તે ગામમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં સહભાગી બનેલા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ગામમાં રૂપિયા 8 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પેવર બ્લોક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચંદ્રાલા ગામના સ્થાપના દિન નિમિત્તે મંત્રીના હસ્તે કેક પણ કાપવામાં આવી હતી.
સર્વે ગ્રામજનોને ગામના સ્થાપના દિન નિમિત્તે અભિનંદન પાઠવી પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ગામનો વિકાસ મુખ્યત્વે બે પેહલું પર રહેલ છે. એક પંચાયત અને બીજી સહકારી પ્રવૃત્તિઓ. જેમાં પંચાયત ગામ વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. તો સહકારી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની ઉન્નતિ થાય છે.
આત્મા ગામડાનો અને સુવિધા શહેરની તેવું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છી રહ્યા છે, તેવું કહી મંત્રીએ ઉમેર્યું હતું કે,પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વિચારઘારાને સાર્થક કરવા ગામના વિકાસને પ્રાઘાન્ય આપ્યું છે. ગામના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રીએ સમરસતા, ખેતતલવાડી, પ્રભાતફેરી, ગ્રામસભા, ગામ અને શાળાના સ્થાપના દિવસ જેવા વિવિધ દિવસોની ઉજવણી જેવા 11 આયામો ગ્રામજનોને આપ્યા છે.ગામના વિકાસ થકી જ દેશનો સાચો વિકાસ થશે, તેવું કહી મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં 1962માં પંચાયતી પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. બળવંતરાય મહેતાએ પંચાયત પ્રવૃત્તિને આગળ ઘપાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમજ ચંદ્રાલા ગામ સહિત આસપાસના ગામોમાં કૃષિ- સહકારી અને સમાજિક ક્રાંતિ લાવનાર ભૂરા ખોડીદાસ પટેલ જેવા અનેક વિભૂતિઓના અમૂલ્ય યોગદાન થકી રાજયના અનેક વિસ્તારનો વિકાસ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે ગુજરાતના વિકાસ માટે સર્વ જ્ઞાતિઓના વિકાસ અને સર્વે જ્ઞાતિ રાજયના વિકાસમાં ખભેથી ખભો મિલાવી કામ કરે તેવા ઉમદા ભાવ સાથે કામ કરી રહી છે.
મંત્રી બ્રિજેશ મેરજા અને મહાનુભાવોના હસ્તે ગાંધીનગર જિલ્લાના દશેલા, ચંદ્રાલા, બાપુપુરા, રખિયાલ અને છત્રાલ ગામના સરપંચોને સ્વચ્છ ગામ રહે તે માટે ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 30 લાખથી વધુની કિંમતના ટ્રેકટર-ટ્રોલી અને રીક્ષા- ડસ્ટબિન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ચંદ્રાલા ગામમાં પ્રાકૃતિક ખેતી કરનાર રામા નાથા પટેલ, પ્રહલાદ કેશા પટેલ, જીતેન્દ્રકુમાર રમેશ પટેલ, વિજય બાબુ પટેલ, કાંતિ માઘવ પટેલનું પ્રશસ્તિ પત્ર આપીને મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.25 ચંદ્રાલા ગામના પરિવારને પી.એમ.જે.એ.વાય. કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ગ્રામજનોને વિતરણ કરવામાં આવતાં વરિયાળીના જ્યુસનો ટેસ્ટ કર્યો હતો. તેમજ આયુર્વેદ સ્ટોલની મુલાકાત લઇ પ્રકૃતિ પરીક્ષણ પણ કરાવ્યું હતું. તેની સાથે સાથે પ્રાકૃતિક ખેતીની ઉત્પાદનના સ્ટોલ અને પશુ સારવાર કેમ્પનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, ગામના સરપંચ શિલ્પા પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી જોઇતા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ અને જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
