ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીએ ત્રિ-દિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.
વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.18મી મે થી 20મી મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના 6 રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી
. મુખ્ય સચિવ પંકજ કુમારે સ્વાગત પ્રવચનમાં આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
વડનગરને વૈશ્વિક હેરિટેજ પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પરિપ્રેક્ષ્યમાં યોજાઇ રહેલી આ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વિચારો, વ્યૂહરચના અને વ્યૂહાત્મક માહિતીના આદાનપ્રદાન માટે ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ બની રહેશે.
એટલું જ નહિ, આ કોન્ફરન્સમાં વડનગર, ગુજરાત તેમજ વૈશ્વિક વ્યવહારના સંદર્ભે પુરાતત્વીય વારસાની સુસંગતતા વિશે ક્યુરેટેડ રસપ્રદ વિષયોની શ્રેણીને આવરી લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
વડનગરએ ત્રીજી અને ચોથી સદીથી સતત માનવ વસાહતોને સમાવતું સૌથી પ્રાચીન કિલ્લેબંધીવાળા નગરોમાંનું એક છે. વડનગર પોતે જ એક પુરાતત્વીય ખજાનો છે. સાતથી વધુ રાજવંશો માટે જાણીતું આ નગર તેના વારસા અને સંસ્કૃતિની કથાઓ, વિવિધ સ્મારકો, રચનાઓ અને કલાકૃતિઓના માધ્યમથી પુરાતત્વીય અને ઐતિહાસિક વિરાસત ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે છે.
વડનગરના આ ભવ્ય ભૂતકાળ, મહત્વપૂર્ણ પુરાતત્વીય અને ઐતિહાસિક વારસાના સ્થળોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું બહુઆયામી આયોજન આ ત્રિ-દિવસીય કોન્ફરન્સથી સાકાર થશે
