પોલીસ જવાનો આપત્તિના સમયે 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે સક્ષમ બને તેવા હેતુથી વિશેષ તાલીમ સત્ર યોજાયું
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાના ભાગરૂપે જિલ્લા ડિઝાસ્ટર શાખા, સુરેન્દ્રનગર દ્વારા પોલીસ વિભાગમાં તાજેતરમાં જ નવી નિમણૂક પામેલા 198 પોલીસ કોન્સ્ટેબલ જવાનો માટે 'ફર્સ્ટ એઇડ' તેમજ 'શોધ અને બચાવ' વિષય પર એક દિવસીય તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે પોલીસ વિભાગ અગ્રેસર રહીને કામગીરી કરતો હોય છે. આ નવનિયુક્ત જવાનો ફિલ્ડમાં ફરજ દરમિયાન કટોકટીની પળોમાં ત્વરિત અને યોગ્ય નિર્ણય લઈ નાગરિકોની અમૂલ્ય જિંદગી બચાવી શકે, તેવા ઉમદા આશય સાથે આ ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન ડીપીઓ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ તાલીમ સત્રમાં મુખ્ય ટ્રેનર ઠાકરભાઈ દ્વારા તમામ 198 નવનિયુક્ત પોલીસ જવાનોને આપત્તિ વ્યવસ્થાપનની પાયાની કડીઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તેમણે પૂર, ધરતીકંપ કે અકસ્માત જેવી તાકીદની પરિસ્થિતિઓમાં ભોગ બનનાર વ્યક્તિને કઈ રીતે સુરક્ષિત સ્થળે ખસેડવી, શોધ અને બચાવની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ તબીબી સહાય મળે તે પૂર્વે કઈ-કઈ પ્રાથમિક સારવાર આપવી તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમ દરમિયાન ટ્રેનર દ્વારા જવાનો સમક્ષ વિવિધ કટોકટીના દ્રશ્યોનું જીવંત નિદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં સી.પી.આર. આપવાની સાચી રીત, રક્તસ્રાવ રોકવાના ઉપાયો અને ફ્રેક્ચર વખતે લેવાતી સાવચેતીઓનો સમાવેશ થતો હતો. ઉપસ્થિત તમામ પોલીસ કોન્સ્ટેબલોએ આ પ્રેક્ટિકલ સેશન્સમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
