પ્રધાનમંત્રી દ્વારા રાજકોટમાં ઈન્ડિયા અર્બન હાઉસીંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્દઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ અંતર્ગત રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે એરપોર્ટથી સભાસ્થળ સુધી રોડ શૉ યોજ્યો હતો. અહીં તેમની એક ઝલક જોવા માટે રસ્તાની બંને બાજુ લોકોની ભીડ ઉમટી પડી હતી. તો લોકોએ પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પણ રોડ શૉ દરમિયાન લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. પ્રધાનમંત્રીએ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઈસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંથી પ્રધાનમંત્રીએ 6 હજાર 990 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિકાસકામોની જાહેરાત કરી હતી. અહીં પ્રધાનમંત્રીએ મોરબી-બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો હતો. તેમણે લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા 1,100થી વધુ આવાસોનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો સશક્ત થાય ત્યારે આખો સમાજ આખો વિસ્તાર આગળ વધે છે. સુશાસન અને પ્રતિબદ્ધતાની સાથે નવી ટેકનિકનો વિકાસ થાય છે. દેશની સામે રાજકોટ એક વિકાસ મોડેલ છે. પ્રધાનમંત્રીએ રાજકોટ સાથે પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.
