પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે(31 માર્ચ, 2026) ભગવાન મહાવીર જયંતીના પાવન અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ અગાઉની સરકારોની ટીકા કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દેશની અમૂલ્ય હસ્તપ્રતો (પાંડુલિપીઓ)ના સંરક્ષણની ભારે ઉપેક્ષા કરવામાં આવી હતી.
જૈન હેરિટેજ મ્યુઝિયમ: વારસા અને આધુનિકતાનો સંગમ
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ભગવાન મહાવીરના ચરણોમાં વંદન કરીને અને દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે હજારો વર્ષોનો ભારતીય વારસો, જૈન ધર્મનું શાશ્વત જ્ઞાન અને આપણી ધરોહરને આધુનિક સ્વરૂપે આગામી પેઢી સુધી પહોંચાડવા માટે સંતોએ જે 'જૈન હેરિટેજ મ્યુઝિયમ'ની સંકલ્પના કરી હતી, તે આજે ભવ્ય સ્વરૂપે સાકાર થઈ છે. આ સંગ્રહાલય જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર કેન્દ્ર બન્યું છે."સમ્રાટ સંપ્રતિના અહિંસક શાસનની સ્મૃતિ
ઇતિહાસને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "જ્યાં કેટલાક શાસકોએ હિંસાના જોરે શાસન કર્યું, ત્યાં સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહનો પ્રચાર કર્યો હતો. નિઃસ્વાર્થ ભાવે શાસનને સેવા માનવાની શીખ આપણને ભારતના ગૌરવશાળી ભૂતકાળમાંથી મળે છે."'જ્ઞાન ભારતમ મિશન' દ્વારા હસ્તપ્રતોનું જતન
પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોની ભૂલો સુધારવાની વાત કરતા 'જ્ઞાન ભારતમ મિશન'નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાચીન પાંડુલિપીઓનું ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. હાઈ-ક્વોલિટી સ્કેનિંગ અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગ્રંથોને સુરક્ષિત કરાઈ રહ્યા છે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સમૃદ્ધ વારસાને ભાવિ પેઢી માટે સાચવવામાં આવી રહ્યો છે.PM મોદીએ આપ્યા 10 સંકલ્પ
જનસભાના અંતે પ્રધાનમંત્રીએ પ્રજાને 10 મહત્વપૂર્ણ સંકલ્પો લેવા આહવાન કર્યું હતું:
પાણી બચાવો
એક પેડ મા કે નામ (વૃક્ષારોપણ)
સ્વચ્છતા મિશન
વોકલ ફોર લોકલ (સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન)
દેશ દર્શન (પર્યટન)
પ્રાકૃતિક ખેતી અપનાવવી
સ્વસ્થ જીવનશૈલી
યોગ અને રમતગમતને જીવનમાં સ્થાન
ગરીબોની સહાય
ભારતના વારસાનું ગૌરવ
