પ્રશિક્ષણ વર્ગમાં મુખ્યમંત્રી રૂપાણી રહ્યા ખાસ ઉપસ્થિત
Live TV
-
સૌરાષ્ટ્રની ભાજપ શાસિત નગરપાલિકાઓના પદાધિકારીઓનો પ્રશિક્ષણ વર્ગ, ગઈકાલે જૂનાગઢ ખાતે યોજાયો હતો. આખો દિવસ ચાલેલા પ્રશિક્ષણ વર્ગમાં, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિ હતી. આ શિબિરમાં તેઓએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, અને જિલ્લાના વિકાસ નકશાને તાત્કાલિક મંજૂર કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી. ગીરમાં 23 સિંહોના મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે ગીર અને આસપાસના વિસ્તારમાં વસતાં સિંહમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણ અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં તમામ રિપોર્ટ નેગેટીવ હોવાથી ચિંતાનો કોઈ વિષય નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું, કે ભવિષ્યમાં સિંહની બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રક્રિયા થાય, તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઈ રહ્યું છે. તેમણે ગુજરાતમાંથી સિંહનું સ્થળાંતર નહિ થાય તેના પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું, કે રાજ્ય સરકાર સિંહોને બચાવવા માટે કટિબદ્ધ છે. સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે આરોપીને ઝડપથી કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. તેમણે કહ્યું, કે લોકો દ્વારા નિર્દોષ વ્યક્તિઓ પર કરવામાં આવતા હુમલા વાજબી નથી. આ સાથે મુખ્યમંત્રીએ ભવનાથ મહાદેવના દર્શન કરી, બે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું હતું. તો ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ, મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળાનો દરજ્જો આપવા બદલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કર્યું હતું.
