'ભારત ગૌરવ ટ્રેન' દ્વારા મે માસમાં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા'નું ભવ્ય આયોજન
Live TV
-
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે 2026માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
'ભારત ગૌરવ ટ્રેન' અંતર્ગત આગામી દિ. 12 થી 22 મે, 2026 દરમિયાન 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા' સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ' દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. 12 મે 2026ના રોજ રાજકોટથી – સુરેન્દ્રનગર- વિરમગામ- સાબરમતી:અમદાવાદ- નડિયાદ- આણંદ –વડોદરા – ભરૂચ- સુરત થશે. સરકારી કર્મચારીઓને ઉનાળુ વેકેશન દરમિયાન રજા પ્રવાસ રાહત- LTCનો લાભ લેવાની ઉત્તમ તક મળી રહેશે.
આ યાત્રા માટે મુસાફરોની સુવિધા મુજબ વિવિધ ત્રણ કેટેગરીમાં પેકેજ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં ઇકોનોમી ક્લાસ (નોન-એસી સ્લીપર) માટે વ્યક્તિ દીઠ રૂ. 21,525 /- દર નક્કી કરવામાં આવ્યો છે. કમ્ફર્ટ ક્લાસમાં 3 ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ. 39,105/- અને 2 ટાયર એસી માટે વ્યક્તિ દીઠ રૂ.48,185 /- પેકેજ ખર્ચ રાખવામાં આવ્યું છે. આ પેકેજમાં યાત્રાળુઓને આપવામાં આવતી અન્ય વિવિધ સુવિધાઓની વિગતો પણ સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે.
આ યાત્રા પેકેજનું બુકિંગ કરાવવા ઈચ્છતા નાગરિકો - કર્મયોગીઓ વહેલાં તે પહેલાના ધોરણે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત વધુ વિગતો કે પૂછપરછ માટે roadi[at]irctc[dot]com ઇમેઇલ આઇડી પર અથવા IRCTC ની કચેરી ૫૦૨, પાંચમો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી , આશ્રમ રોડ, અમદાવાદનો સંપર્ક કરી શકાશે તેમ IRCTCની યાદીમાં જણાવાયું છે.
