ભાવનગર ખાતે નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ
Live TV
-
ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષ સુધીના કોઈપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે હેતુસર તા. 28 થી 30 જૂન, 2026 દરમિયાન રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારત પોલિયો મુક્ત દેશ તરીકે ઓળખાય છે, તેમ છતાં વિશ્વના કેટલાક દેશોમાં પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવવાની શક્યતા રહેલી છે. જિલ્લામાં 0 થી 5 વર્ષના દરેક બાળક સુધી પોલિયોના બે ટીપાં પહોંચે અને એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા તેમણે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.એમ. સોલંકીએ અભિયાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે 1,76,219 બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે 3,40,449 ઘરો, 1099 પોલિયો બુથ, 2077 આરોગ્ય ટીમો, 38 ટ્રાન્ઝિટ અને મેળા પોઈન્ટ, 88 મોબાઇલ ટીમો તથા 250 સુપરવાઇઝરોની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અભિયાનના પ્રથમ દિવસે તા. 28 જૂને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. ત્યારબાદ તા. 29 અને 30 જૂનના રોજ આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ બાકી રહેલા તમામ પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પાંચ વર્ષ સુધીના બાળકોને રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવી અભિયાનને સફળ બનાવવામાં સહભાગી બને.આ બેઠકમાં ડી.એમ.ઓ ડૉ.સી.ટી.કણઝરીયા, ડી.ટી.ઓ ડૉ.પી.બી.રેવર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
