મહાશિવરાત્રીના પાવન અવસરે વડનગર ખાતેથી રાજ્યના ૩૧ ડાયાલિસિસ સેન્ટરનું મહાલોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
“વન નેશન વન ડાયાલિસિસ”ની દિશામાં ગુજરાતની આગવી પહેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “જય હાટકેશ્વર મહાદેવ”ના નાદ સાથે વડનગરની ધરા પરથી રાજ્યના નાગરિકોને મહાશિવરાત્રીના પર્વની શુભકામનાઓ પાઠવીને વડનગર ખાતેથી રાજયના ૩૧ ડાયાલિસિસ સેન્ટરનું મહાલોકાર્પણ કર્યું હતુ. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દર્દીઓને ઘરઆંગણે ડાયાલિસિસ સેવા ઉપલબ્ધ કરાવવા હેતુથી કાર્યાન્વિત કરાયેલ આ તમામ ડાયાલિસિસ કેન્દ્રો “વન નેશન વન ડાયાલિસિસ” ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં ગુજરાતની આગવી પહેલ છે તેમ આરોગ્યમંત્રીએ કહ્યું હતુ.
મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસ કેન્દ્રોનો રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કરાવીને જણા્વ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિડની સંબંધિત બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને ૩૦ થી ૪૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યૂટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમાં ૬૧ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
આજે નવીન ૩૧ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા ૯૨ થઇ છે આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. આ પ્રસંગે તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્યના મેડિકલ ક્ષેત્રના વિધાર્થીઓને મેડિકલ શિક્ષણ અર્થે રાજ્ય બહાર ન જવુ પડે તે માટે આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ સ્થાપિત કરીને કાર્યાન્વિત કરવાની દિશામાં સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યની આરોગ્યલક્ષી માળખાગત અને માનવબળ ક્ષેત્રે સુવિધાઓમાં ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. તેનો સંદર્ભ આપતા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના તમામ આોગ્યકેન્દ્રો પર મેડિકલ ઓફિસર સહિતની નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ કાર્યરત બને તેવી વ્યવસ્થા સરકારે હાથ ધરી હોવાનું જણાવ્યું હતુ.
આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે દેવગઢ બારિયા થી આ મહાલોકાર્પણ કાર્યક્રમમાં જોડાઇને પ્રાસંગિક ઉદ્બબોધનમાં કહ્યું કે, રાજ્યના દૂર-દરાજ વિસ્તારમાંથી ડાયાલિસિસની સારવાર મેળવતા દર્દીઓને ઘર આંગણે ઉપલબ્ધ થયેલ ડાયાલિસિસની સારવાર આશિર્વાદરૂપ બની રહેશે. સર્વે સન્તુ નિરામયાના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરીને રાજ્યના તમામ જરૂરિયાતમંદ દર્દી, પીડિતોને આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ સરળતાથી પહોંચાડવાનું બીંડુ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે હાથ ધર્યુ છે .
કોરોનાકાળ વચ્ચે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે સાથે નિરામય ગુજરાત , PMJAY-MA યોજના,મિશન ઇન્દ્રધનુષ ૪.૦. જેવી આરોગ્યલક્ષી યોજનાઓની અસરકારક અમલવારી કરાવીને સરકારે કોરોનાકાળમાં પણ જનકલ્યાણની શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યમાં એક સાથે ૩૧ સ્થળોએ ડાયાલિસિસ કેન્દ્રોના ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ સ્થળોથી પદાધિકારીઓ જોડાયા હતા. વડનગર ખાતેની મહાલોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દેવગઢ બારિયા અને વડોદરા શહેર ના ડાયાલિસિસની સારવાર મેળવતા દર્દીઓ સાથે સંવાદ સાધીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. વડનગર ખાતેના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાસંદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય અજમલજી ઠાકોર,વડનગરના અગ્રણી સોમભાઇ મોદી, વિભાગમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ શાહમિના હુસૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમપ્રકાશજી, જીલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, સહિત વિવિધ કેન્દ્રો પરથી વીડિયો કોન્ફરસના માધ્યમથી અધિકારી-પદાધિકારીગણ જોડાયા હતા.
