મહેસાણા, વલસાડ, બોટાદ અને નવસારીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો
Live TV
-
મહેસાણામાં જિલ્લા કક્ષાના 13મા ગરીબ કલ્યાણ મેળાનો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં જિલ્લાના 3,500 જેટલા લાભાર્થીઓને મિશન મંગલમ, આવાસ યોજનાઓ સહિતના આર્થિક અને મશીનરી સાધન સામગ્રીના લાભ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સાયકલ સહાય પણ પુરી પાડવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં 35,163 લાભાર્થીઓને કુલ 81 કરોડ 7 લાખ 54 હજાર 998 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ગરીબોના સર્વાંગી વિકાસ સાધવા માટે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવે છે. જેના થકી ગરીબોના જીવન સ્તરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બદલાવ કરવામાં આવી રહ્યો છે.
બોટાદમાં પણ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં 16,138 લાભાર્થીઓને લાભ મળ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના ચીખલી તાલુકાના સુખાઈગામ ખાતે આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા મંત્રીના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં વિવિધ યોજના હેઠળ 4,404 લાભાર્થીઓને 5 કરોડ રુપિયાથી વધુના ખર્ચે ચેક, સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ન પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે છેવાડાના માનવીને ઘર મળે, તેમનું જીવનધોરણ ઊચું આવે અને બીજા લોકોને યોજના થકી સહાય મેળવવા પ્રેરણા મળે તેવા આશય સાથે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે.
