મુખ્યમંત્રીએ મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો લીધો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત હવે નવી જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના વર્ષો જુના અને નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોના સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે.
અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો. ભૂપેન્દ્ર પટેલે આ બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં.જેના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા દૂર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.
