મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 1010 આવાસો સહિત રૂ. 751 કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ. 751.20 કરોડના 45 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 119.05 કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રી દ્વારા 1010 પરિવારોને આધુનિક સુવિધાસભર "ઘરના ઘર"ની ભેટ અપાઈ છે.
આ સાથે રૂ. 9.78 કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું હતું.રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "ઈઝ ઓફ લિવિંગ" અને "અર્ન વેલ, લિવ વેલ"ની નેમ સાથે આગળ વધતા રાજકોટને આજે રૂ. 751.20 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન દેશમાં પ્રથમ ક્રમે છે. નાગરિકોની સુખાકારી માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી નહીં રાખવામાં આવે તેવી ખાતરી આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર આયોજનબદ્ધ વિકાસ કાર્યોને ક્યારેય નામંજૂર નથી કરતી. આવા કાર્યોના આયોજનો તત્કાલ મંજૂર કરી દેવામાં આવે છે. આ તકે તેમણે થઈ રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.
દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવાનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત’ માટે દેશના સામાન્ય માણસને મુખ્ય ધારામાં લાવવો જરૂરી છે અને તેના માટે જ રાજ્યમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને રિજનલ સ્તરે લઈ જવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે શાસનકાળના 8931દિવસ પૂર્ણ કર્યા છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રની જનપ્રતિનિધિ તરીકેની યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ હતી અને રાજકોટથી શરૂ થયેલો આ રેકોર્ડ આજે સતત આગળ વધી રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય માનવીના કલ્યાણના મંત્ર સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યા છે. આજે પેટ્રોલમાં એક્સાઈઝ ડ્યૂટી રૂ. 13થી ઘટાડીને રૂ. 3 અને ડીઝલમાં એક્સાઇઝ શૂન્ય કરી નાખવામાં આવી છે. વિશ્વમાં જ્યારે પણ સંકટ ઊભું થયું, ત્યારે નરેન્દ્ર એ હિંમતપૂર્વક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પાસે પોતાનું 'ઘરનું ઘર' હોય. આ સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આજે રાજકોટમાં આવાસ યોજનાના માધ્યમથી એક હજારથી વધુ પરિવારોને તેમના સપનાનું ઘર મળી રહ્યું છે.
આ અવસરે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજના કાર્યક્રમને જનસુખાકારી માટેનો ઐતિહાસિક અવસર ગણાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં જ રૂ. 1100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે એક રેકોર્ડ છે. હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા રજૂ થયેલા અને વિધાનસભામાં પસાર થયેલા સમાન નાગરિક સંહિતા બિલ અંગે તેમણે કહ્યું હતું કે, યુ.સી.સી. બિલ એ મુખ્યમંત્રીનું ‘દિલ’ છે. સમગ્ર દેશમાં આ બિલ લાવનારું ગુજરાત બીજું રાજ્ય છે. આ સાથે જનતાના હિત માટે જરૂરી હશે તેવા તમામ નિર્ણયો ગુજરાત સરકાર કરતી જ રહેશે, તેવી ખાતરી તેમણે આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રથી વિકાસની ધારા ગુજરાતભરમાં વહી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રના નેતૃત્વમાં વણથંભી વિકાસ યાત્રાના પરિણામે આવેલું પરિવર્તન દેખાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અવિરત પ્રયત્નોને પરિણામે આજે રાજકોટના દરેક ખૂણાનો વિકાસ થયો છે.જ્યારે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં શહેરી વિકાસ વિભાગના રૂ. 543 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ. 207 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા છે. આ બદલ તેમણે નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ઉત્સવપ્રિય અને રંગીલું રાજકોટ હવે વિકાસ કાર્યોમાં પણ અગ્રેસર થઈ રહ્યું છે. ડ્રેનેજ, પાણી, રોડ-રસ્તાના વિકાસ કાર્યોથી આગળ વધીને રાજ્ય સરકારે ગરીબોની વેદના જાણીને આવાસોને પ્રાથમિકતા આપી છે. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત તત્પર હોવાનો અને આગામી દિવસોમાં રાજકોટ વિકાસમાં મોડેલ સિટી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે સાંસદ પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઐતિહાસિક પ્રારંભ થયો હતો. તેને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ આ વાઇબ્રન્ટ સમિટ પ્રાદેશિક સ્તરે પહોંચી છે. રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થયું અને સફળતા મળી તે ગૌરવની વાત છે.સ્વાગત પ્રવચન કરતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં છેલ્લા એક જ માસમાં રૂ. 1100 કરોડના વિકાસ કામોના લોકાર્પણ - ખાતમુહૂર્ત થયા છે. નળ, રસ્તા, ગટર અને ઘર એમ ચારેય ક્ષેત્રમાં સેચ્યુરેશનનો પાયો નખાયો છે. આજના પ્રસંગે રૂ. 161 કરોડના રોડના કામો તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરાયો છે. કાર્યક્રમના અંતે નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદો સર્વ રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ભાનુબહેન બાબરીયા, ઉદય કાનગડ, દર્શિતા બહેન શાહ, અગ્રણી માધવ દવે, જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
