મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો
Live TV
-
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો. મુખ્યમંત્રીના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)દ્વારા કરવામાં આવ્યું હતું.
ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પારસી સમાજે ભગવદ્ ગીતાના 'સ્વધર્મ'ના સંદેશને જીવ્યો છે.તેઓ 1300 વર્ષો પહેલા ઈરાનથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવ્યા અને સાકરની જેમ ભળી ગયા, રાષ્ટ્રનિર્માણમાં મહામૂલું યોગદાન આપ્યું.મુખ્યમંત્રીએ પારસીઓને "સખાવતનું બીજું નામ" ગણાવ્યા, જેમણે જ્યાં વસવાટ કર્યો ત્યાં દાનવીરતાના બીજ રોપ્યા.નવસારીમાં પવિત્ર આતશની રક્ષાની ધર્મગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે પારસી સમુદાય દ્વારા ટાઈમ કેપ્સ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કાર્ય કરાયું.મુખ્યમંત્રીએ આ કાર્યને પ્રધાનમંત્રી મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને ચરિતાર્થ કરનારું ગણાવ્યું.તેમણે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં શરૂ કરાયેલી 'પીએમ જીઓ પારસી' યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.
મુખ્યમંત્રીએ આઝાદી કાળથી લઈને આજ સુધી દેશના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા સહિતના અનેક પારસી અગ્રણીઓને યાદ કર્યા હતા.AKBTના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ સ્વાગત પ્રવચન આપ્યું.તેમણે આગામી સમયમાં પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે શિષ્યવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી.વડા દસ્તુરજી ખુર્શીદ દસ્તુરે AKBTની કામગીરીની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ બે દિવસીય કાર્યક્રમમાં પારસી સમાજની નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમો, નાટક, મ્યુઝિક અને કોમેડી જેવા આયોજનો પણ કરવામાં આવ્યા છે.
