મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે.
ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીના હસ્તે વર્ષ 2022નો તાના રીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી તથા ગુજરાતના મોનિકા શાહ અને વર્ષ 2023નો એવોર્ડ આરતી અંકલિકરને આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવતા જણાવ્યું કે, ‘તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે. વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે. તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી. પ્રાચીન અને પુરાતન સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંગીત, ધર્મ સ્થાનકો આ બધાનો સમયાનુકૂળ વિકાસ કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણે વિકસાવ્યું છે. સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા આ વિરાસતના વિકાસ અને સંવર્ધનનું કામ વડનગરની ધરાના જ સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું.’
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમ જ્યંતિ વર્ષ-2010માં તાનારીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી. આ પરંપરામાં વર્ષ-2022નો એવોર્ડ કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ 2023 માટે આરતી અંકલિકરને તાનારીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે. આ ઐતિહાસિક નગર વડાપ્રધાનશ્રીના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં દેશનું પહેલું આર્કીયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ અહીં બની રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટુરીઝમ વિભાગે 92 કરોડ રૂપિયાના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે.
આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર આલોકકુમાર પાંડેએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવો, કલાકારો અને સ્થાનિક નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા એચ.એલ. ત્યાગી, જાણીતા કલાકાર અનુપમા ભાગવત અને વિદુષી વર્મા સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
