મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મણિનગર વોર્ડ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મણિનગર વોર્ડમાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિનગર વોર્ડમાં રૂ. 7 કરોડથી વધુના ખર્ચે અદ્યતન વ્યાયામ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જયારે એલ.જી. હોસ્પિટલ ખાતે નવા વસાવવામાં આવેલા 128 સ્લાઈસ સી.ટી. સ્કેન વીથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના મણિનગર વોર્ડ ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પ્રેરક ઉદ્બબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત@2047નો સંકલ્પ પાર પાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ એક સક્ષમ માધ્યમ બન્યું છે. વિકાસ અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે તેના પાયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ માટેની રાજનીતિ છે. આજે દરેક સરકારી યોજના ગુજરાતના માણસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આજે સો ટકા મળવાપાત્ર તમામ લાભો દરેક લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામે-ગામ અને ઘરે ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના દિવસે આરંભેલી વિકાસ યાત્રાના ફળ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં વિકસિત ગુજરાત આગેવાની લઈ મહત્ત્વનું યોગદાન આપશે.
નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે આખા ગુજરાતમાં કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આજે દરેક ગામ અને શહેરોમાં નળથી જળ પહોંચ્યું છે. આજે ગામડાઓમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે અને આ બધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને આભારી છે.
આયુષ્માન ભારત યોજના અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે આયુષ્માન કાર્ડ થકી સામાન્ય માણસ પણ ખાનગી હોસ્પિટલોમાં અદ્યતન સારવાર લઈ રહ્યો છે. પહેલા એવી સમજ હતી કે સામાન્ય માણસ માત્ર સરકારી હોસ્પિટલમાં જ દવા કરાવી શકે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના લાવીને ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય માણસ સારવાર લઈ શકે તેવી સુવિધાઓ ઉભી કરી છે.
તાજેતરમાં છતીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બધા રાજ્યોમાં કોઈના વાયદાઓ ચાલ્યા નથી માત્ર ચાલી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈની ગેરંટી જ ચાલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં રૂ. 6.86 કરોડના ખર્ચે ફીલીપ્સ મેઇક 128 સ્લાઈસનું સી.ટી. સ્કેન વિથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનમાં દૈનિક 100થી વધુ દર્દીઓના સી.ટી. સ્કેન કરવાની કેપીસીટી છે. હાલમાં કાર્યરત જુના મશીનના જ ચાર્જમાં સી.ટી. સ્કેન ઉપરાંત કોરોનરી એન્જીયોગ્રાફી થઇ શકશે. વધુમાં વર્ષ 2012માં 16 સ્લાઈસ સી.ટી.સ્કેન મશીન વસાવવામાં આવ્યાં હતા.
આ સાથે મણિનગર વોર્ડમાં રૂ. 7 કરોડથી વધુના ખર્ચે અદ્યતન વ્યાયામ શાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વ્યાયમ શાળાના બિલ્ડીંગના નવીનીકરણમાં સ્કેટીંગ રીંગ, ક્રિકેટ ગ્રાઉન્ડ વીથ એડવાન્સ ફલડ લાઇટીંગ, સીનીયર સીટીજન માટે મીટીંગ સ્પેસ, જરૂરી પાર્કીંગ વ્યવસ્થા, જીમ્નેશીયમ, ટેબલ ટેનીસ, ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમ તેમજ લીફટ અને એર કન્ડીશનીંગની સુવિધાઓથી સજ્જ છે. આમ, મણીનગર વિસ્તારની આજુબાજુના વિસ્તારનાં નાગરીકોની હેલ્થ સારી રહે તે માટે જીમ્નેશીયમની સગવડ પુરી પાડી શકાશે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા PMJAY લાભાર્થીઓને કાર્ડ વિતરણ, પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જન ઔષધી યોજનાના લાભાર્થીઓ તેમજ ખેલો ઇન્ડિયા યોજનાના લાભાર્થીઓ અને નીક્ષય યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સર્વે ધારાસભ્યો, સર્વે કાઉન્સિલર, ડેપ્યુટી મેયર જતિન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
