મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લીધી તાલીમી IPS અધિકારીઓની મૂલાકાત
Live TV
-
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં રર જેટલા પ્રોબેશનરી IPS યુવા અધિકારીઓએ શુભેચ્છા-સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.
ર૦૧૮ની તાલીમી IPS બેચના આ અધિકારીઓ તેમના તાલીમ-અભ્યાસના ભાગરૂપે ૧પ દિવસ માટે વિવિધ રાજ્યોની મૂલાકાત જે-તે રાજ્યની સાંસ્કૃતિક અને સામાજીક ગતિવિધિઓ તેમજ ફિલ્ડ ફંકશનીંગની જાણકારી મેળવવાના હેતુસર લેતા હોય છે. આ અંતર્ગત રર જેટલા તાલીમી IPS યુવાઓ ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા, સી.સી.ટી.વી. સર્વેલન્સ નેટવર્ક, સાયબર સિકયુરિટીમાં અદ્યતન તકનીક વિનિયોગ અને ડ્રોન ટેકનોલોજી સહિતના આયામોની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે, કોઇ પણ રાજ્યમાં પબ્લીક સર્વિસીસ - જાહેર સેવાઓમાં IPS, IASની ભૂમિકા અહેમ હોય છે.
આ સંદર્ભમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ અરજદાર કે રજૂઆત કર્તા પ્રત્યે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની શીખ આપતાં કહ્યું કે, પદ સાથે પ્રતિષ્ઠા ત્યારે જ મળે છે જ્યારે સામાન્ય માનવીના હ્વદયમાં સંનિષ્ઠ અધિકારી તરીકે કોઇ વ્યકિત પ્રસ્થાપિત થાય તેવા વ્યવહાર-વર્તન હોય.
તેમણે આ યુવાઓને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, ઇશ્વરે જનસેવા કરવાના જે અવસર આવી ઉચ્ચ સર્વિસ દ્વારા આપ્યા છે તેને ભલિભાંતિ નિભાવી રાષ્ટ્ર-રાજ્યનું ગૌરવ વધારવાનું દાયિત્વ યુવા પેઢી નિભાવે.આ સાથે તેઓએ નવાભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં યુવાઓની મુખ્ય ભૂમિકા રહેવાની છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ જવાબદારી વહન કરવામાં તાલીમી અધિકારીઓ નિષ્ઠા, ખંત અને લગનથી પાર ઉતરશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
