રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન
Live TV
-
ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે ઉલ્લેખનીય છેકે, મધ્યઝોનમાં પ્રાથમિક તબક્કામાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના માર્ગના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ વિકાસ કાર્યો અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મિડિયન, સેન્ટર લાઈટિંગ અને ગ્રીન પેચ સાથે કોટા તથા ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથે ફૂટપાથ બનાવવામાં આવશે. તેમજ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નં. 2 સુધી અને સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને વિશેષ લાઈટિંગ સાથે આધુનિક પ્લાઝા વિકસાવવામાં આવશે.આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મુખ્ય જંકશનોનું રીડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલટોપ, આઇલેન્ડ, સ્કલ્પચર, પ્લેસમેકિંગ, સેન્ટ્રલ વર્જ અને હેંગિંગ લાઈટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી માર્ગ વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે.
આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના માર્ગનું રૂ. 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે. જેમાંથી અંદાજે 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનારી રથયાત્રા પહેલા સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આ વિકાસ કાર્યો રથયાત્રા દરમિયાન ભક્તોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને સુવ્યવસ્થિત અનુભવ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
