રાજકોટ ગાંધી મ્યુઝિયમના પોસ્ટલ કવરનું CM રૂપાણીએ ઈ-અનાવરણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજયંતી અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રાજકોટ ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું ઈ-અનાવરણ કરતાં કહ્યું હતું કે, વિશ્વ સમક્ષ ગાંધી શાશ્વત મૂલ્યો સાથે રાજકોટ અને ગાંધીજીના સંબંધોને આ કવર વધુ ઉજાગર કરશે.
વધુમા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ રાજકોટમાં જે સ્થળે અભ્યાસ કર્યો હતો, તે આલ્ફ્રેડ હાઈસ્કૂલની જર્જરીત હાલતમાંથી હવે આપણે ગાંધી મ્યુઝિયમ તરીકે તેને વિશ્વકક્ષાના સ્મૃતિ મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
મહાત્મા ગાંધી સ્વચ્છતા, ગ્રામોત્થાન, મહિલા સશક્તિકરણ, અસ્પૃશ્યતા નિવારણ જેવા સિદ્ધાંતોથી આત્મનિર્ભરતાના હિમાયતી રહેલા હતા. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જ ગાંધી વિચારોને અનુસરતા જનધન, કન્યા કેળવણી, નલ સે જલ જેવા અનેક પ્રભાવી કાર્યક્રમો અને યોજનાઓથી આત્મનિર્ભર ભારત બનાવવા કૃત સંકલ્પ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્ટેમ્પ રિલીઝ માટે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટના મેયર બીના બહેન સહિત પદાધિકારીઓ આ અવસરે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
