રાજય સરકારનો કૃષિલક્ષી લેવાયો મહત્વનો નિર્ણય
Live TV
-
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી ને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી 125 મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમા થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી આટલેથી જ ન અટકતા તેઓએ સતત કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કરેલ હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે 4,65,000 મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા 4,65,000 મેટ્રિક ટન ચણાના જથ્થાને કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીનની મર્યાદામાં વીઘે બાર મણ લેખે 125 મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા 187 કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવનાર છે.
રાજયના કિસાનો માટે આ નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદઓનો કિસાનો વતી ખૂબ ખૂબ આભાર માન્યો છે રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
