રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ કરી ફાયર NOC પ્રક્રિયા પૂર્ણ
Live TV
-
વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને સુરત અને રાજકોટની કોવિડ ડેઝિગ્નેટેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અને સુરતની વિવિધ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં 5 મૃતકોના પરિવારજનોને પરિવારદીઠ 5 લાખની સહાય આપવામાં આવી છે. તદ્ઉપરાંત ઇજાગ્રસ્તોને પણ સમયસર સારવાર આપવામાં આવી હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું હતુ.
ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લાગેલ આગ બાબતે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે આરોગ્યમંત્રીએ વિધાનસભાના પ્રશ્નોત્તરી સેશનમાં જણાવ્યું કે, કોવિડ ડેઝીગ્નેટેડ તમામ હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરાવીને તેની કડક અમલવારી કરાવી છે. આરોગ્યમંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લાની 81 આરોગ્ય સંસ્થાઓમાંથી 77 આરોગ્ય સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન સહીતની એન.ઓ.સી અને સુરત જિલ્લાની 84 આરોગ્ય સંસ્થાઓમાંથી 71 સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન ફાયર એન.ઓ.સી રજૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 4 અને સુરતમાં 13 સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. માટે અરજી કરી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગવાના બનાવ અંગે તપાસ કરવા માટે ન્યાયમૂર્તિ ડી.એ. મહેતા તપાસ પંચની રચના કરવામાં આવી છે. તપાસ પંચ દ્વારા તટસ્થ તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના સંદર્ભે 2617 સરકારી આરોગ્ય સંસ્થાઓ પૈકી 2196 સરકારી આરોગ્ય સંસ્થાઓ દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવી લેવામાં આવી છે. જ્યારે 370 સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે.આમ રાજ્યની કુલ 98 ટકા આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
