રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ‘જનગણના-2027’ અન્વયે ઓનલાઈન માધ્યમથી સ્વ-ગણતરી કરી પૂર્ણ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતેથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમને આ વખતની સંપૂર્ણ ડિજિટલ અને સુરક્ષિત જનગણના પ્રક્રિયાની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા.
રાજ્યપાલએ આ રાષ્ટ્રીય મહાઅભિયાનની પ્રશંસા કરતા ગુજરાતના જન-જનને આ કવાયતમાં જોડાવા ભાવભરી અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ મોડથી વેબ પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે, જે નાગરિકો માટે અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ છે.રાજ્યપાલએ ઉમેર્યું કે, સશક્ત અને સમાવિષ્ટ વિકસિત ભારતના નિર્માણ માટે સચોટ અને સમયસરની માહિતી અનિવાર્ય છે. નાગરિકોની સક્રિય ભાગીદારી જ આ મહાઅભિયાનને સફળ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી જાતે ઓનલાઇન સબમિટ કરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ પદ્ધતિ રજૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ ગણતરી 31 મે, 2026 સુધી સત્તાવાર વેબ પોર્ટલ https://se.census.gov.in/ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો આપેલા માર્ગદર્શન મુજબ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે.આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી 1 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યભરમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.રાજ્યપાલએ વસ્તી ગણતરી વિભાગની સમગ્ર ટીમને આ રાષ્ટ્રીય કાર્યના સફળ અમલીકરણ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
