રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલમાં લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી
Live TV
-
રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. રાજ્યપાલે સંસારનો ત્યાગ કરી કઠોર જીવનનો માર્ગ અપનાવનાર 47 નવદીક્ષિતોને શુભકામનાઓ પાઠવી હતી.
રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજયપાલે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સમાન વડતાલધામ છેલ્લા 200 વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહ્યું છે. જનકલ્યાણનું આ અભિયાન સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુળ પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે, તે બદલ અભિનંદન પાઠવતાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે એમ જણાવતાં રાજયપાલેકહ્યું કે, આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવન જીવવાનું દર્શન કરાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસનમુકત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક રહી છે, વેદ-ઉપનિષદ દ્વારા માનવજાતને જીવનદર્શન મળ્યું છે તેમ જણાવતાં રાજયપાલે કહ્યું હતું કે, જીવનના પરમ ઉદ્દેશ્યને પામવા ભગવાન પ્રત્યે સમર્પિત ભાવથી ભક્તિ કરવાથી જીવનમાં લક્ષ્યસિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું.
