રાષ્ટ્રપતિના હસ્તે 'શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023'નો એવોર્ડ મેળવનાર જય ગાંગડીયાએ 6 વર્ષ દરમિયાન 350થી વધુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યાં
Live TV
-
અમદાવાદના 25 વર્ષીય યુવાન જય મહેશ ગાંગડીયાએ શારીરિક મર્યાદાઓ છતાં પોતાની એવી ખૂબી વિકસાવી કે આજે તેઓ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની ગયા છે. પોતાની ચિત્રકળાથી છેલ્લાં છ વર્ષ દરમિયાન તેમણે 350થી વધુ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યાં છે. જેમાંનાં અનેક પેઇન્ટિંગ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતને ભેટ આપી ચૂક્યા છે.
તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે પ્રાપ્ત થયો છે. પોતાની કલ્પનાશક્તિ અને રંગ ભરેલી પીંછી કેનવાસ પર ચલાવી અદભુત ચિત્રો ઉપસાવવાની કળાથી જય સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યો છે, તેમનાં 350થી વધુ પેઇન્ટિંગ્સમાં મિશન ચંદ્રયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગુજરાતનો ગરબો, અમદાવાદ શહેરની સાંજ સહિતના નયનરમ્ય ચિત્રોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલી 'શબ્દ રંગ' ચિત્ર સ્પર્ધામાં તેમના જ કાવ્યસંગ્રહ 'આંખ આ ધન્ય છે' અને કવિતા 'માડી મને કૌવત દેજે' પરથી 'મિસ યુ મોમ' ચિત્ર બનાવ્યું હતું, જેને વિનર ફોર બેસ્ટ પેઇન્ટિંગનો એવોર્ડ મળ્યો હતો.
