લૉકડાઉન દરમિયાન બેજવાબદારીપૂર્વક ફરતા લોકો ચેતે, પોલીસ કરશે કડક કાર્યવાહી : DGP શિવાનંદ ઝા
Live TV
-
અમદાવાદમાં વધી રહેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં લોકોનો સહકાર મળે એ અત્યંત જરૂરી
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનના અમલમાં નાગરિકોનો-આગેવાનોનો મળી રહેલ વ્યાપક સહકાર બદલ સૌનો તંત્ર વતી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, લૉકડાઉન દરમિયાન કેટલાક લોકો બે જવાબદારીપૂર્વક ફરી રહ્યા છે અને તેઓ પોતાના તથા અન્યના સ્વાસ્થ્યને જોખમ ઊભું કરી રહ્યા છે તેવા લોકો ચેતે, પોલીસ તેમની સામે પણ કડક કાર્યવાહી કરશે.લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો મિડીયાને આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે અપેક્ષિત છે. લોકોને મુશ્કેલી ન પડે તે
માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે લૉકડાઉનના ચુસ્ત અમલમાં જો નાગરિકો સહયોગ નહીં આપે અને જો કાયદો હાથમાં લેશે તો પોલીસ બળપ્રયોગ કરતાં પણ ખચકાશે નહીં, આ માટે આગેવાનો ,શાંતિ સમિતિના સભ્યો,મોહલ્લા અને સોસાયટીના હોદ્દેદારો વગેરે ત્યાંના રહીશો સાથે ચર્ચા કરીને સહયોગ કરે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, શહેરો- નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં 205 ડ્રોનના ફૂટેજ દ્વારા ગઈકાલે 471 ગુનાઓ નોંધાયા છે. બુધવાર સુધીમાં 2,565 ગુના દાખલ કરીને 6,151 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ગઈકાલે 92 ગુના નોંધીને 164 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 399 ગુના નોંધી 792 લોકોની અટકાયત કરાઈ છે. એ જ રીતે સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 142 ગુના દાખલ કરીને 258 આરોપીની અટકાયત કરી છે.શ્રી ઝાએ ઉમેર્યું કે, બેંક અને કરિયાણાની દુકાનના સ્થળે લોકો વધુ ભેગા થાય છે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાતું નથી એવા કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેવા સંજોગોમાં વ્યવસ્થાપકો અને સંસ્થાઓ જવાબદાર ગણાશે. આવા સ્થળોએ યોગ્ય અંતર જળવાય રહે તે માટે માર્કિંગ, કતાર કે ટોકન પધ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. જો આવા સ્થળોએ નાગરિકો તરફથી આ પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવતું હોય તો પોલીસને જાણ કરાશે તો પોલીસ ચોક્કસ મદદ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. શ્રી ઝાએ મરકઝ,નિઝામુદ્દીનમાંથી આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ -127 લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા
છે જેમાંથી કુલ-11 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને હાલ કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 2,788 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 872 તેમજ અન્ય ગુનાઓ 437 એમ મળી કુલ 4,097 ગુનાઓ નોંધાયા છે. જેમાં કુલ 6,169 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 7,878 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
