વડોદરામાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન
Live TV
-
વડોદરામાં ANTFની નવી ઝોનલ કચેરીના ઉદ્ઘાટન સાથે ડ્રગ્સ માફિયાઓ સામેની લડત તેજ બની છે. વર્ષ 2025માં રૂ. 2000 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે, જેની સાથે હવે યુવાનોમાં જનજાગૃતિ અને પુનર્વસન પર પણ વિશેષ ભાર મૂકાશે
નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા વડોદરામાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ઝોનલ કચેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સી.આઈ.ડી ક્રાઈમની આ અત્યાધુનિક કચેરી હવે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સના દૂષણ પર બાજ નજર રાખશે. ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. રાવે મહત્ત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2025 દરમિયાન વડોદરામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ અંદાજે 600 જેટલા કેસ નોંધીને રૂ. 2000 કરોડથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે, જે પોલીસની ડ્રગ્સ વિરોધી કટિબદ્ધતા દર્શાવે છે.
રાજ્ય સ્તરે કાર્યરત એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ હવે 6 ઝોનમાં વહેંચાયેલી છે, જેમાં વડોદરા ઝોન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી કચેરીના માધ્યમથી ડ્રગ્સ સપ્લાયના નેટવર્કને જડમૂળથી તોડવા માટે વધુ સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉ. રાવે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુલ 213 જગ્યાએ ANTF એકમો કાર્યરત કરવામાં આવ્યા છે, જેનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે અને દરેક ઝોનનું નેતૃત્વ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી કરશે.
માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ લાવવા પર પણ પોલીસ વિશેષ ભાર મૂકશે. આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો અને વિદ્યાર્થીઓને નશાની ઘાતક અસરોથી બચાવવા માટે વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નશાની જાળમાં ફસાયેલા લોકોના પુનર્વસન માટે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે અલાયદા રિહેબિલિટેશન સેન્ટર્સ સ્થાપવાની દિશામાં પણ સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આમ, સઘન દેખરેખ અને સામાજિક જાગૃતિના સંગમથી વડોદરા ઝોનને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવા માટે આ નવી કચેરી પાયાનો પથ્થર સાબિત થશે.
