વાળીનાથ મહાદેવ મંદિરમાં પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ અનેરો નજારો જોવા મળ્યો
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાનો મંદિરમાં અનેરો નજારો જોવા મળ્યો હતો. રંગબેરંગી લેસર લાઇટે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. અને મોટી સંખ્યા માં લોકો આ નજારો માણતા નજરે પડ્યા હતા.આખું મંદિર ઉપરાંત પરિસર રંગબેરંગી રોશનીથી ઝળ હળયું હતું.
સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રદેશમાંથી આવ્યા હોય તેમ તેમના પારંપરિક પહેરવેશ પરથી જણાઈ રહ્યું હતું. મહિલાઓ,આબાલ વૃદ્ધ બધા જ મંદિર પરિશર માં નીચે બેસીને મનભરીને સુંદર આહ્લાદક મંદિર ના દેખાવ ને જોઇને ખુશ થયેલા દેખાતા હતા. લોકો ફોટો પડાવતા તથા સેલ્ફી લેતા દેખાયા હતા. મંદિર મહંત જયરામ ગિરિ બાપુ અનેક સ્વયંસેવકો રાત દિવસ ખડેપગે રહીને પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે.
ભજન, ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ માં લોકો ઉમળકા ભેર જોડાયા હતા અને આ પર્વ ને મહાપર્વ બનાવ્યું હતું. ગુજરાતના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. શિવધામ તીર્થ ભૂમિ વાળીનાથ વિસનગર તાલુકાના તેમજ મહેસાણા જિલ્લાના લોકોના આસ્થાનું પ્રતીક છે .જેનો ઈતિહાસ લગભગ 900 વર્ષ અતિ પ્રાચીન છે. જ્યાં 500 કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે . માલધારી સમાજની અહીં ગુરુગાદી માનવામાં આવે છે અને માલધારી લોકો ગુરુસેવક તરીકે અહીં સેવા આપી રહ્યા છે. પૂજ્ય વિરમગિરીજી મહારાજના વિશેષ સેવાર્થીઓ માલધારી સમાજના લોકો રહ્યા છે.
આ અજોડ શિવાલય મુખ્ય ત્રણ શિખરનું આકાર પામેલ છે. જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ, જમણી બાજુએ બીજા ગુરૂશ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી પરામ્બા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા પામવાની છે. નાગરશૈલીમાં નવનિર્મિત આ ભવ્યાતિ-ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારતવર્ષના મશહુર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરીસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અયાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામ્યુ છે. 68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઉંચાઈ101 ફુટની છે. જેની લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ છે જેમા વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ 1,45,000 ઘનફુટ છે.
આ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે.પથ્થરમાંથી આકાર પામેલ આ અદભૂત શિવાલયની ભવ્યતા અને દિવ્યતા દર્શનીય છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાય મહાદેવ મંદિર આજીવન શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
