વિકાસ સપ્તાહ: ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
Live TV
-
અમદાવાદ: વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હૉલ ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાત રાજ્યને યુવા રોજગાર અને કૌશલ્યકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકાર યુવાનોના શિક્ષણ બાદ સરકારી નોકરી માટેની ચિંતાનું નિવારણ લાવે છે. તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 24 વર્ષના સુશાસનની સિદ્ધિઓને પણ બિરદાવી હતી.
ગુજરાતમાં યુવા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ મંત્રીશ્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 7 ઓક્ટોબર, 2001ના રોજ મુખ્યમંત્રી તરીકેના શપથથી શરૂ થયેલા 13 વર્ષના ગુજરાતના સુશાસન અને ત્યારબાદ કેન્દ્રના શાસન સહિત કુલ 24 વર્ષના વહીવટમાં ગુજરાત અને દેશમાં અભૂતપૂર્વ વિકાસ કાર્યો થયા છે. તેમણે યુવાનોને આ સિદ્ધિઓની નોંધ લેવાનો આગ્રહ કર્યો હતો.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર યુવા, મહિલા અને ખેડૂત સહિત તમામ વર્ગો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા કટિબદ્ધ છે. તાજેતરમાં જ 50 હજારથી વધુ દીકરા-દીકરીઓને રોજગારી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે, અને 11 લાખથી વધુ લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવી રહ્યાં છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાતા વાઇબ્રન્ટ ગુજરાત થકી લાખો-કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આકર્ષાયું છે. આ વિકાસના કારણે બહુચરાજીમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝના આગમનથી 1.5 લાખ લોકોને રોજગારી મળી છે, અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનની રાષ્ટ્રીય સિદ્ધિઓ વિશે જણાવતાં જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય શાસન દરમિયાન થયેલા ઐતિહાસિક નિર્ણયો અને વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી.
-
ગરીબી નિવારણ: 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાની બહાર લાવવામાં આવ્યા.
-
જનકલ્યાણકારી યોજનાઓ: આયુષ્માન કાર્ડ થકી સામાન્ય પરિવારોને આર્થિક સહાય અને આરોગ્ય સુવિધાઓ. જનધન યોજના થકી 56 કરોડ બેંક ખાતા ખોલાયા.
-
અન્ન સુરક્ષા: ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી 81 કરોડથી વધુ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવામાં આવી.
-
પાયાની સુવિધાઓ: 3 કરોડ ઘરોમાં વીજળી અને 12.5 કરોડ ગ્રામીણ પરિવારોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી.
-
ડિજિટલ ઇન્ડિયા: ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ કરતો દેશ બન્યો.
-
ઐતિહાસિક નિર્ણય: આર્ટિકલ 370ની કલમ હટાવીને દેશમાં ગૌરવવંતુ કામ થયું.
-
સ્વચ્છતા મિશન: ગાંધીજીના સ્વચ્છતાના મિશનને આગળ ધપાવતા ગ્રામીણ સ્વચ્છતાના નવા આયામો બનાવ્યાં.
અંતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ 'આભાર મોદીજી' પોસ્ટકાર્ડ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો, જે અંતર્ગત 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ થકી 'હર ઘર સ્વદેશી'નો નારો ગુંજી રહ્યો છે. તેમણે ગુજરાતની અને ભારતની કંપનીઓમાં બનતી 'મેક ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ સૌને કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓ અને ઉમેદવારોને રોજગાર એનાયત પત્રનું વિતરણ, આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POL)નું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ આઈ.ટી.આઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે MOU પણ કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, શહેરના ધારાસભ્યઓ, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા, શ્રમ તથા રોજગાર વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
