શિવરંજની ચાર રસ્તા પાસે BRTS બસ સ્ટેન્ડની કેબિનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી જાનહાનિ ટળી
Live TV
-
અમદાવાદમાં આજે બપોરે શિવરંજની ચાર રસ્તા નજીક આવેલા BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા. 25 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 12:43 વાગ્યે 112 ઈમર્જન્સી સેવા પર બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, બસ સ્ટેન્ડની ટિકિટ બારીના કેશ કાઉન્ટર વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે પ્રિન્ટર, પંખો તેમજ ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળી જવાથી નુકસાન થયું છે. ઘટનાસ્થળે BRTSના સુપરવાઇઝર પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીને જાણ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથધરી છે.ફાયર બ્રિગેડ તરફથી પ્રહલાદનગર સ્ટેશનથી મિની ફાયર ટેન્કર, વોટર ટેન્કર અને બોલેરો સહિતના વાહનો સાથે કુલ 11 ફાયરમેન, 1 જમાદાર, 3 ડ્રાઇવર અને 1 સ્ટેશન ઓફિસરે કામગીરી સંભાળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નથી.
