SGVP અને ફાઉન્ડેશન ફોર પીસફુલ ચેન્જ દ્વારા ‘વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની’નું આયોજન
Live TV
-
અમદાવાદ: એસજીવીપી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ) અને ફાઉન્ડેશન ઓફ પીસફુલ ચેન્જ દ્વારા ‘મે પીસ પ્રિવિલ ઓન અર્થ’ સંસ્થાના સહયોગમાં ‘વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વૈશ્વિક એકતા અને વૈદિક જ્ઞાનના સંગમ દ્વારા “ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી” ચળવળનું આહવાન કરવામાં આવ્યું હતું.આ સમારોહ પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં "વસુધૈવ કુટુંબકમ"ના પવિત્ર સિદ્ધાંત હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમના ઋષિકુમારો દ્વારા પરંપરાગત વૈદિક સંસ્કૃત શ્લોકગાન સાથે કરવામાં આવી હતી. સમારોહની પૂર્ણાહુતિ ઉપનિષદના 'શાંતિ પાઠ'થી થઈ હતી, જેમાં સર્વે જીવોના સ્વાસ્થ્ય અને સુખની મંગલ કામના કરવામાં આવી હતી.
આ શાંતિ સમારોહમાં જાપાનના ગોઈ પીસ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ શ્રી હિસાકો ઓમાગારી (પર્યાવરણ નિષ્ણાત) અને શ્રી યાસુકો યામાગુચી તેમજ શાંતિ સંશોધક ડો. મુકુંદ પટેલ અને ડો. હંસા ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અફઘાનિસ્તાનથી લઈને ઝિમ્બાબ્વે સુધીના વિશ્વના દરેક રાષ્ટ્ર માટે વ્યક્તિગત પ્રાર્થના સાથે "પૃથ્વી પર શાંતિ સ્થપાય" (May Peace Prevail On Earth)નો નાદ ગુંજી ઉઠ્યો હતો.શાંતિ નિષ્ણાત ડો. મુકુંદ પટેલે જણાવ્યું હતું કે, "શાંતિ એ બ્રહ્માંડનો એક સ્વદેશી (Indigenous) ખ્યાલ છે. જ્યારે શાંતિ અને પ્રતિભાશાળી મન (Genius) વૈશ્વિક સ્તરે એકસાથે આવે છે, ત્યારે 'ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી' ચળવળનું સર્જન થાય છે." આ ચળવળ તમામ રાષ્ટ્રીય સીમાઓથી પર રહીને વિશ્વને જોડવાનો પ્રયાસ છે.
શાંતિનું અનોખું સૂત્ર (The Peace Formula)
કાર્યક્રમ દરમિયાન શાંતિના મહત્વને સમજાવતા નીચે મુજબના સૂત્રો રજૂ કરવામાં આવ્યા હતા:સત્ય + અહિંસા = શાંતિ
સત્ય – અહિંસા = અશાંતિ
વધુમાં જણાવાયું હતું કે સાહસ, ઉદ્યોગ-સાહસિકતા અને વ્યવસાય વિના શાંતિ શક્ય નથી અને શાંતિ વગર આ ક્ષેત્રોનો વિકાસ અશક્ય છે.વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમનીમાં પ્રાચીન વૈદિક મંત્રોચ્ચાર અને આધુનિક વૈશ્વિક બંધુત્વનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે માત્ર પ્રતિભાશાળી મન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે સમર્પિત કરુણાસભર આત્માઓ કેળવવાના મિશન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
