શ્રાવણ મહિનામાં અલગ-અલગ શિવાલયોમાં શ્રધ્ધાળુઓની ભીડ
Live TV
-
શિવનો મહિમા અનંત છે. તેમનાં રૂપ, રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. ત્યારે આજે પણ નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસેના શુલ્પાનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.મૂળ શુલ્પાનેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ 1994 થી ગોરા પાસેના આ નવ નીર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે..
ટપકેશ્વર મહાદેવનું મંદિર, પોરબંદર-પ્રાચીન સમયમાં ઓસમ પર્વત, હેડંબા વન તરીકે પ્રચલિત હતું અને તેની સાથે કેટલીક વાતો , પુરાણોમાં પણ જોડાયેલી છે. ધોરાજીથી 25 કિલોમીટર દૂર આવેલા ઓસમ પર્વત પર, બે હજાર મીટરની ઉંચાઈએ, ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ શિવલિંગ પર બારેમાસ ગુપ્ત ગંગા સ્વરૂપે સતત જળાભિષેક થતો હોવાથી, આ મંદિર ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. આ ઉપરાંત અહીં ભીમનાથ મહાદેવ અને ભીમ કુંડ તરીકે જાણીતું મોટું તળાવ પણ આવેલું છે. મહાભારતમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો, ઓસમ પર્વત પર આવ્યા હતા અને એ વખતે ભીમે આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. શ્રાવણ મહિનામાં જ નહીં પરંતુ આખું વર્ષ હજારો યાત્રિકો, શ્રધ્ધાળુઓ, પ્રવાસીઓ ભગવાન મહાદેવના દર્શન કરવા અને આ પર્વતનું સૌંદર્ય માણવા માટે અહીં આવે છે.
શૂલપાણેશ્વર મંદિર,નર્મદા- શ્રાવણ મહિનાની શરૂઆત થતા નર્મદા નદી પાસે આવેલા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. પ્રાચીન મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં સમાઈ ગયું હતું. શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને જાળવી રાખવા રાજ્ય સરકારે એ જ સ્થળે નવું મંદિર બનાવ્યું હતું. શુલ્પાનેશ્વર મહાદેવમાં માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભક્તો પણ આવે છે.પ્રાચીન કથા મુજબ એવી માન્યતા છે કે, ભગવાન શિવજીએ અંધકાસુર દૈત્યનો વધ કર્યો ત્યારે શિવજીનું ત્રિશુળ તેના રક્તથી ખરડાયું હતું. ત્રિશૂળ પરના લોહીના ડાઘાને દૂર કરવા શિવજીએ આ સ્થળે જમીનમાં ત્રિશુળ માર્યું હતું. જલધારા વહેતી થતા અહી નર્મદા પ્રગટ થયા હતા અને જલધારાથી તેમનું ત્રિશુળ સ્વચ્છ થયું હતું, ત્યારબાદ અજ્ઞાતવાસમાં પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું.
રામનાથ મંદિર,રાજકોટ-રાજકોટમાં આજી નદીને કિનારે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના સ્વયંભુ રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આ સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે દૂધ, બીલીપત્ર, જળાભિષેક કરી , ભગવાન શિવની પૂજા અર્ચના કરવા ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. મંદિર સાથે જોડાયેલી વાત એવી છે કે રાજકોટના રાજવી સર લખાજીરાજના સમયે, રાજકોટમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો. ત્યારે રાજાએ આ મંદિરના પૂજારિઓને વિનંતી કરી હતી અને એના પગલે રામનાથ મહાદેવનું ફુલેકુ સમગ્ર રાજકોટમાં કાઢવામાં આવ્યું હતું અને આ રોગ નાબૂદ થયો હતો તેવી માન્યતા અહીં છે.
