સુરતમાં 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત
Live TV
-
દસ દિવસની ભક્તિ અને આરાધના બાદ આ મહિનામાં સુરતમાં ભવ્ય રીતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું.
શહેરભરમાં સ્થાપિત થયેલી 80,000થી વધુ પ્રતિમાઓને શ્રદ્ધાળુઓએ ભીની આંખે વિદાય આપી. પાલ ખાતેના કૃત્રિમ ઓવારામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈને વિસર્જનની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. તેમની ઉપસ્થિતિમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં, ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે, ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. દસ દિવસની આ સ્થાપના દરમિયાન લાખો લોકોએ પંડાલોમાં ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી. આ વર્ષના ગણેશ મહોત્સવને તેમણે “ભક્તિની સાથે શક્તિનો સમન્વય” ગણાવ્યો.
મંત્રીએ ઉમેર્યું કે આ વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન ‘સ્વદેશી અપનાવો’નો સંદેશ વ્યાપક રહ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા નવરાત્રી તહેવારમાં પણ આ સ્વદેશી આંદોલન જળવાઈ રહેશે, જે રાજ્યના વેપારીઓ માટે શુભ સાબિત થશે. ગૃહ રાજ્યમંત્રીએ ગણેશ મહોત્સવ દરમિયાન રાત-દિવસ શાંતિ જાળવી રાખનાર પોલીસ દળને અભિનંદન પાઠવ્યા. તેમના અથાક પ્રયાસોને કારણે સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા હતા, જેથી પર્યાવરણને નુકસાન ન થાય. આ પગલાંથી શહેરમાં પર્યાવરણીય જાગૃતિનો સંદેશ પણ પ્રસરી ગયો હતો.
