સુરેન્દ્રનગરઃ વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક રીતે સુરજમુખીનું વાવેતર કરી નવી રાહ ચીંધી
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે સુરજમુખીના ફુલનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. સુરજમુખીના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો તો થાય છે સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે, સુરજમુખીના વાવેતરના કારણે ઇયળો કે અન્ય જીવાતો અન્ય પાકોમાં લાગતી નથી તેથી બીજા પાકને પણ નુકસાન થતાં અટકે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, જીરૂ અને ઘઉં જેવાં પાકોનું જ વાવેતર કરવામાં આવતું હતુ પરંતુ સરકાર દ્વારા શિબિર-સેમિનારના કાર્યક્રમો યોજાતાં હવે જાગૃતિ આવી છે. હવે જિલ્લામાં ખેડૂતો બાગાયતી વાવેતર તરફ વળ્યા છે અને અનેક ખેડૂતો વિવિધ પ્રકારના બાગાયતી પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી કરી રહ્યાં છે. વઢવાણના મગનભાઇ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું છે. મગનભાઇ વઢવાણના મેલડી માતાનાં મંદિર વાળા રોડ પર ખેતર ધરાવે છે અને તેમાં સંપૂર્ણ ઓર્ગેનીક પધ્ધતિથી ખેતી કરે છે. મગનભાઈએ શાકભાજી અને ફળોના વાવેતરની સાથે સાથે સુરજમુખીનું વાવેતર કરવાનો પ્રયોગ ત્રણેક વર્ષ પહેલા કર્યો હતો.
મગનભાઈએ પ્રાયોગીક ધોરણે ૨૦ થી ૨૫ બીજ વાવ્યા હતા જેમાં સફળતા મળતા ધીરે-ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે દોઢ એકર જમીનમાં ૫૦૦થી વધુ સુરજમુખીની ગાય આધારિત પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી છે. સુરજમુખીના ફુલમાંથી બનતું તેલ બજારમાં ઉંચી કિંમતે વેચાતું હોવાથી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે. સાથે-સાથે સુરજમુખીનું વાવેતર બીજા કોઇ પણ પાકની વચ્ચે સરળતાથી કરી શકાય છે અને તેમાં કોઇ પ્રકારની દવાનો છંટકાવ કે તેને અલગથી પીયત કરવાની પણ જરૂર રહેતી નથી જેથી ખર્ચ બચે છે. ખાસ કરીને બીજા પાકમાં આવતી ઇયળો કે જીવાંતો પણ સુરજમુખીના ફુલથી આકર્ષાઇને તેના પર બેસે છે જેથી અન્ય પાકને પણ ઇયળોના ઉપદ્રવથી રક્ષણ મળે છે. હાલ સુરજમુખીના પાકનો પ્રતિ મણ ભાવ 2000 થી 2200 રૂપિયા સુધીનો મળી રહે છે. આમ સુરજમુખીના વાવેતરથી ખેડૂતોને અનેક ફાયદાઓ પણ થાય છે ત્યારે વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત પાકના બદલે સુરજમુખીનું ગાય આધારિત ઓર્ગેનિક સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી છે.
