સોમનાથ તીર્થને હવાઈ માર્ગથી જોડવા કેશોદ એરપોર્ટ ખાતે 16 એપ્રિલથી મુંબઈ-કેશોદ-મુંબઈ વિમાન સેવા થશે શરૂ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. આ અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે. ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે-સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. હાલ કચ્છ જિલ્લામાં 36 ટેન્કરો દ્વારા 114 ફેરા થકી આશરે 21 ગામોમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ઓવરબ્રિજનું કામ રૂ.108 કરોડના ખર્ચે હાથ ધરાશે. આ બ્રિજ અંગે વિવિધ જમીન સંપાદન સહિતના ટેકનિકલ પ્રશ્નો હતા તે હલ થયા છે એટલે હવે આ કામ સત્વરે શરૂ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જેના પરિણામે ભૂજ અને ભચાઉના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ જ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-2માં રૂપિયા 651 કરોડના ખર્ચે કામ શરૂ થનાર છે. ફેઝ-1ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે કરાશે. પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારમાં 56 જેટલી સેવાઓ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી પ્રજાને ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં કુલ 4,99,979 અરજીઓ આવી હતી જેમાંથી 4,99,914 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના કાર્યક્રમ હોવાથી સેવાસેતુ સેતુ કાર્યક્રમ યોજી શકાયા નથી જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
