1200 બેડની હોસ્પિટલ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આપી મહત્વની જાણકારી
Live TV
-
કોવિડ ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં 160 વેન્ટિલેટર, 96 ડાયાલિસીસ મશીન, ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી કાર્યરત છે: સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે તમામ પગલાં લેવાઇ રહ્યા છે
200 બેડની હોસ્પિટલ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યુ છે કે દર્દીઓને ઉત્તમ સારવાર આપવા માટે તંત્ર સંવેદનશીલતાથી ફરજ બજાવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય તંત્ર કાર્યરત છે. આરોગ્ય વિભાગની સુંદર કામગીરીને પરિણામે કોવિડ દર્દીઓની સિવિલ હોસ્પિટલ ખાતે યોગ્ય સુશ્રુષા થઈ રહી છે. 21 માર્ચના દિવસે મુખ્યમંત્રીશ્રીએ આ સ્થળની મુલાકાત લીધી હતી તે બાદ ટૂંકા ગાળામાં કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે આ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીં 160 વેન્ટિલેટર, 96 ડાયાલિસીસ મશીન, ઓક્સિજન પૂરો પાડતી કેન્દ્રીયકૃત પ્રણાલી કાર્યરત છે.
અત્રે હોસ્પિટલની દર્દીઓ સમાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેની ક્ષમતા 500 બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા 1700 બેડની થવા પામી છે. જેમાંથી ૩૦૦ જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે. અહીં બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ નું પ્રાવધાન કરાયું છે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ.યુનિટ બનાવવામાં આવ્યું છે. અહીં અલાયદા આઇસોલેશન વોર્ડ, ઇન્ફેકશન કંટ્રોલ, અને સ્પ્રિંકલર્સ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે-સાથે કોરોના શંકાસ્પદ વોર્ડ પણ એવી જ રીતે સજ્જ કરાયો છે. અત્યંત ગંભીર હોય તેવા દર્દીઓના મૃત્યુના કિસ્સામાં મૃતદેહો તેઓના સ્વજનોને પરત કરવામાં પણ માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે. ઉપરાંત ફાયર સેફટી, બાયોમેડિકલ વેસ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેનો પણ ખ્યાલ અહી રખાયો છે. તેમણે જણાવ્યું કે એસ.ઓ.પી. પ્રમાણે અહીં 300થી વધુ તબીબો અને ૧૫૦૦ થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડે પગે કાર્યરત છે. એટલું જ નહીં અહીં સગર્ભાઓ માટે અલાયદો લેબર રુમ પણ કાર્યરત છે.
તેમણે જણાવ્યું કે, અહીં ૨૪ કલાક કાર્યરત એવો કંટ્રોલરૂમ પણ છે. સાથે સાથે અહીં સવારે યોગ-પ્રાણાયામ, હર્બલ ટી ઉકાળો, ચા બિસ્કીટ ગરમ દૂધ એમ નિયમિત ભોજન-નાસ્તો, ટેલિવિઝન એમ તમામ પ્રકારની જરૂરીયાતોનો ખ્યાલ રાખવામાં આવે છે. દર્દીઓને સ્ટાર હોટલમાંથી સવારનું ભોજન અપાય છે અને જે દર્દી સાજા થઇ જાય તેમને હોસ્પિટલમાંથી ઘરે જવા માટેની વાહન વ્યવસ્થા પણ કરાય છે. આ બધી બાબતો પાછળ કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય અને પોતાના ઘરે પરત ફરી તમને દૈનિક પ્રવૃત્તિઓમાં પરોવાય તેવો આશય છે એમ તેમણે જણાવ્યું હતું.
