CMની રાજકોટવાસીઓને મોટી ભેટ, કરોડોના વિકાસ કાર્યોંનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મનપાના રૂ.545 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે , ત્યારે તેઓએ રાજકોટવાસીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા 545 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહીત રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થકી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિવિધ વિકાસના કાર્યો થકી રાજકોટમાં પાણીની સમાસ્યાનો ઉકેલ આવ્યો છે.
આવાસોની ફાળવણી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો
આ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 709 આવાસોની ફાળવણી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સંપન્ન થયો હતો. મુખ્યમંત્રીએ આવાસ પ્રાપ્ત કરનાર સૌ પરિવારોને સુખમય જીવનની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત, આ અવસરે રાજકોટ શહેરના સુદ્રઢ વિકાસની સાથે ભવિષ્યના આયોજનને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. સમગ્ર ગુજરાત જ્યારે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શહેરી વિકાસને ગતિ આપતા આ પ્રકલ્પો રાજકોટવાસીઓ માટે 'ઇઝ ઓફ લિવિંગ'માં વધારો કરનારા બની રહેશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'રાજકોટની શહેરી વિકાસયાત્રા - 20 વર્ષની યશોગાથા' પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરીને એક્ઝિબિશનની વિવિધ ગેલેરીની મુલાકાત લીધી હતી તેમજ શ્રદ્ધેય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.
