UN મહાસચિવે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી અને સૌર ઊર્જાના પ્રોજેક્ટની પ્રશંસા કરી
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે સૌર ઊર્જાના આ સમગ્ર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુજરાતના મોઢેરા સ્થિત પ્રસિદ્ધ સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. તેઓ સૂર્યમંદિર નિહાળીને તેમજ મોઢેરા ગામના લોકો વીજળી માટે 24 કલાક સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે, તે વાત જાણીને પ્રભાવિત થયા હતા. તેમણે સૂર્યમંદિર વિશે કમેન્ટ બુકમાં કમેન્ટ પણ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘સૂર્ય એ જીવન છે. સૂર્ય એ તમામ ચીજોનું ઉદ્ભવ સ્થાન છે. હું એ તમામ લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું જેમણે હજારો વર્ષો પહેલા આ સૂર્યમંદિરનું નિર્માણ કર્યું. અહીંના લોકો સૂર્યદેવના આ મંદિરની આસપાસના વિસ્તારમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે અને તેના થકી પ્રકૃતિને માનવજીવન સાથે જોડે છે.’ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે સૌર ઊર્જાના આ સમગ્ર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. મોઢેરા ગામમાં સફળતાપૂર્વક સોલાર રૂફટોપ પ્રોજેક્ટ દ્વારા વીજળીની વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ ગુજરાતના બે દિવસના પ્રવાસે હતી. તેમના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત રાષ્ટ્ર તેમજ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકો પણ હાજર રહ્યા હતા.
