તાશ્કંદમાં યોગ સત્રમાં સામેલ થયા PM મોદી, સહભાગીઓ સાથે પણ કરી મુલાકાત
Live TV
-
એરપોર્ટ પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ પ્રધાનમંત્રી મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાશ્કંદમાં યોગ ફેડરેશન ઓફ ઉઝબેકિસ્તાન દ્વારા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો હતો. યોગ સત્ર દરમિયાન તેમણે ઉપસ્થિત સહભાગીઓ સાથે વાતચીત પણ કરી હતી... પ્રધાનમંત્રી મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે તાશ્કંદમાં છે. એરપોર્ટ પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ તેમણે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો.
આ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ ‘યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક’ની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, આ સ્મારક ઉઝબેક લોકોની આકાંક્ષાઓ અને પ્રગતિનું પ્રતીક છે. યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં પ્રધાનમંત્રી મોદી સાથે રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ ઉઝબેક સંસ્કૃતિ અને ઇતિહાસને દર્શાવતી કલાકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું.
તાશ્કંદમાં ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય પ્રવાસી સમુદાય ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરે છે અને બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
સ્વાગત સમારોહ દરમિયાન રજૂ કરવામાં આવેલા ભારતીય અને ઉઝબેક સંસ્કૃતિના સંગમવાળા સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમો બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધો દર્શાવે છે. તેમણે ભારતીય અને ઉઝબેક સંગીત પરંપરાઓના સંગમની પ્રશંસા કરતાં કહ્યું કે તબલા, ડોઇરા અને ચાંગનું સુંદર સંયોજન બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે. આ ઉપરાંત, ભારતીય સમુદાયની કેટલીક મહિલાઓએ પ્રધાનમંત્રી મોદીને મળીને તેમને રાખડી પણ બાંધી હતી.
