પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 25 લોકોના મોત, 140થી વધુ ઘાયલ
Live TV
-
વરસાદને કારણે ઓછામાં ઓછા 69 મકાનોને પણ આંશિક નુકસાન થયું
ગઈકાલે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા, જેમાં 25 લોકો માર્યા ગયા હતા અને 140 થી વધુ ઘાયલ થયા હતા. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ, ડેરા ઈસ્માઈલ ખાન, કરક અને લક્કી મારવત વિસ્તારોમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 69 મકાનોને પણ આંશિક નુકસાન થયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તમામ ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દરમિયાન, ઈસ્લામાબાદ અને લાહોરમાં હવાઈ ટ્રાફિકને અસર કરતા ખરાબ હવામાનને કારણે શનિવારે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને વિલંબિત થઈ હતી. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટને મુલતાન એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી.
