ફ્રાન્સમાં પોલીસ ફાયરિંગમાં કિશોરનાં મૃત્યુ બાદ અશાંતિનો માહોલ યથાવત
Live TV
-
ફ્રાન્સમાં અલ્જેરિયન અને મોરોક્કન વંશના 17 વર્ષીય કિશોરનાં મૃત્યુ બાદ હિંસક ઘટનાઓનો દોર યથાવત છે. કિશોરના મૃત્યુ બાદ 5 દિવસથી ચાલી રહેલી હિંસા દરમિયાન આશરે 1300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના ગૃહ મંત્રી જેરાલ્ડ ડર્માનિને જણાવ્યું કે મંગળવારે પેરિસના ઉપનગર નાનટ્રેમાં નાહિલ એમનાં મૃત્યુ પછી સુરક્ષાબળોની મોટી કાર્યવાહી બાદ ફેલાયેલી હિંસામાં હવે ઘટાડો નોંધાયો છે. આ કિશોરની દફનવિધિ શનિવારે થઈ હતી. સ્થાનિક સમાચારો મુજબ, કિશોરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તે દરમિયાન મીડિયાને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
દેશમાં ફેલાયેલી હિંસાને ધ્યાનમાં રાખતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ તેમનો જર્મની પ્રવાસ મોકૂફ કર્યો છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ફેલાયેલી હિંસા રોકવા માટે 45 હજાર પોલીસકર્મી અને સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. ફ્રાન્સની સરકારે જણાવ્યું કે હિંસાને લીધે પેરિસથી લઈને માર્સિલી અને લૉયન તથા ફ્રેન્ચ ગયાનામાં મોટા પાયે સંપત્તિને નુકસાન થયું છે. ફ્રેન્ચ ગયાનામાં અજ્ઞાત હુમલાખોરોની ગોળી વાગવાથી 54 વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું. ફ્રાન્સના ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે, હિંસક ઘટનાઓમાં 200 વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
