ભારત અને ચીન વચ્ચેની સરહદી મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની મંત્રણા યોજાશે
Live TV
-
સૈન્ય સ્તરની મંત્રણા બાદ ચીન તંગદિલી ઘટાડવાની સૂફિયાણી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે, હોટ સ્પ્રીંગ્સ, ગોગરા અને દેપસાંગમાંથી ચીની સેનાને પાછી કાઢવી જ રહી.
ભારત અને ચીન વચ્ચેની સરહદી મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની મંત્રણા યોજાવાની છે જેમાં વિવાદ ઉકેલાવાની આશા છે પરંતુ હકીકત એ છે કે બે વર્ષ પહેલા ચીને જે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરી હતી એ હજુ પણ તેના કબજા હેઠળ જ છે. ગલવાન ઘાટી ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયા બાદ શરૂ થયેલા વિવાદનો હજુ અંત આવ્યો નથી. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૩મા તબક્કાની સૈન્યસ્તરની મંત્રણ યોજાઇ હતી જે પણ ચીનની દાદાગીરીના કારણે નિષ્ફળ નીવડી હતી.
ચીનનો પીછેહઠ કરવાનો ઇન્કાર
ઉલટું ચીનના અડિયલ વલણના કારણે વિવાદ વણઉકલ્યો છે. ઉપરથી ચીન એક પછી એક એવા પગલાં લઇ રહ્યું છે જેના કારણે પરિસ્થિતિ સુધરવાના બદલે વણસી રહી છે. થોડા દિવસો અગાઉ ચીને અરુણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના પોતાના હિસાબે નામકરણ કરી નાખ્યાં હતાં. જોકે ભારતે એની સામે વાંધો ઉઠાવ્યો હતો અને અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હોવાનો દૃઢોચ્ચાર કર્યો હતો. એવા પણ અહેવાલ હતાં કે ચીને અરુણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોમાં વસાહતો સ્થાપી દીધી છે. વિદેશ ખાતાએ પણ સ્વીકાર કર્યો હતો કે ચીન છેલ્લા ઘણાં દાયકાઓથી તેના સરહદી વિસ્તારો ઉપરાંત તેણે પચાવી પાડેલા ક્ષેત્રોમાં પણ નિર્માણ કરતું રહ્યું છે. જોકે વિદેશ ખાતાએ સ્પષ્ટતા કરી હતી કે ભારતે પોતાના ક્ષેત્રમાં ચીનના આવા ગેરકાયદેસર અતિક્રમણનો કદી સ્વીકાર કર્યો નથી અને કદી ચીનના ખોટા દાવા માન્યા નથી.
અરુણાચલ પ્રદેશને તિબેટનો હિસ્સો ગણાવે છે ચીન
ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે અને અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો માનવાનો કાયમ ઇન્કાર કરે છે. જાણકારોના મતે આ ક્ષેત્રમાં ચીન જે રીતે કુદરતી સંસાધનો ઉપર દાવા કરી રહ્યું છે અને જે ઝડપે આ વિસ્તારમાં ખનનકાર્ય કરી રહ્યું છે એ જોતા આ વિસ્તાર પણ દક્ષિણ ચીન સમુદ્ર જેવો તણાવપૂર્ણ માહોલ સર્જી શકે છે. ચીનના ભુસ્તરશાસ્ત્રીઓ અને લશ્કરી વિશેષજ્ઞાો પણ અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. છેલ્લા એક વર્ષથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાતી સરહદે બંને દેશોએ મોટા પ્રમાણમાં સૈનિકો, શસ્ત્રો અને ફાઇટર વિમાનો તૈનાત કરી રાખ્યાં છે. ચીને સરહદે સૈનિકોની સંખ્યા વધાર્યા બાદ ભારતે પણ પોતાની સ્થિતિને મજબૂત કરી છે.
ચીનનું આ નવું અભિયાન ભારત માટે નવો સરહદી વિવાદ બની શકે છે અને બંને દેશો વચ્ચેનો વિવાદ વકરાવી શકે છે. ભૂતકાળમાં ચીનના સૈનિકોએ અનેક વખત અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે. ભારત ચીની સેનાના દુઃસાહસનો વિરોધ કરે છે ત્યારે ચીને ઉલટો એવો દાવો કરે છે કે તેણે ક્યારેય અરુણાચલ પ્રદેશનો ભારતના હિસ્સા તરીકે સ્વીકાર કર્યો નથી અને એ વિસ્તાર તો દક્ષિણ તિબેટનો ભાગ છે. હજુ તો ગયા વર્ષે જૂનમાં ભારત અને ચીન વચ્ચે લદ્દાખ ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શરૂ થયેલા વિવાદનો અંત આવ્યો નથી ત્યાં થોડા સમય પહેલા ચીની સૈનિકોએ ઉત્તરાખંડમાં ઘૂસણખોરી કરી હતી. ચીનની મથરાવટીને જાણતા લોકોનું કહેવું છે કે ચીન અરુણાચલ પ્રદેશ ઉપર કબજો કરવાની કોશિશ કરી રહ્યું છે.
