વર્લ્ડ બેન્ક સંકટગ્રસ્ત શ્રીલંકા માટે 700 મિલિયન ડોલરના ભંડોળ પેકેજ માટે આપી મંજૂરી
Live TV
-
શ્રીલંકા માટે મોટા પ્રોત્સાહનરૂપે વર્લ્ડ બેંકે 700 મિલિયન ડોલરના નોંધપાત્ર ભંડોળ પેકેજ માટે મંજૂરી આપી છે. મંજૂર ભંડોળમાંથી અંદાજે 500 મિલિયન ડોલર અંદાજપત્રીય સહાય માટે નિયુક્ત કરવામાં આવશે, જ્યારે બાકીના 200 મિલિયન ડોલર કલ્યાણ સહાય માટે સમર્પિત કરવામાં આવશે, જેનો હેતુ ચાલુ કટોકટીથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાનો છે.
એક નિવેદનમાં શ્રીલંકા માટે વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ફારિસ હદાદ-ઝેર્વોસે સંસ્થાની વ્યૂહરચનાની રૂપરેખા આપી હતી. જે આર્થિક સ્થિરીકરણ, માળખાકીય સુધારાઓ અને સંવેદનશીલ વસ્તીના કલ્યાણની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડાયરેક્ટરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ સુધારાઓનું સતત અમલીકરણ દેશને હરિયાળી, સ્થિતિસ્થાપક અને સર્વસમાવેશક વિકાસ તરફ દોરી શકે છે.
શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ તેની સૌથી ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં ગયા વર્ષે વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ નીચી સપાટી જોવા મળી હતી, જેના પગલે ભારતે અનુદાન અને ધિરાણની રેખાઓ દ્વારા આશરે 4 બિલિયન ડૉલરની માનવતાવાદી સહાયતા આપી હતી.
વિશ્વ બેંકની આ સહાય માર્ચમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) કરાર પછી કટોકટીગ્રસ્ત ટાપુ રાષ્ટ્રને મળેલી નાણાકીય સહાયની સૌથી મોટી રકમ છે. IMF એ લગભગ 3 બિલિયન ડૉલરની વિસ્તૃત ફંડ સુવિધાને મંજૂરી આપી છે જે 48 મહિનાના સમયગાળામાં શ્રીલંકાને ઉપલબ્ધ થશે.
