સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદે બે ભારતીયોને પ્રતિબંધિત લિસ્ટમાં નાંખવાના ઈસ્લામાબાદના પ્રસ્તાવને ફગાવ્યો
Live TV
-
UNSCના પાંચ સભ્યો અમેરિકા, યુકે, ફ્રાંસ, જર્મની અને બેલ્ઝિયમે પ્રસ્તાવ પર લગાવી રોક
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી એક વાર શરમજનક સ્થિતીનો સામનો કરવો પડ્યો છે. પરિષદે દરખાસ્ત ક્રમાંક 1 હજાર 267 હેઠળ બે ભારતીયોને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સમાવવા પાકિસ્તાને મુકેલા પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સુરક્ષા પરિષદમાં અમેરિકા , બ્રિટન,ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનની આ દરખાસ્તને અટકાવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધી ટી. એસ. ત્રિમૂર્તિએ આ મુદ્દે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે આતંકવાદને મુદ્દે 1,267 હેઠળની વિશેષ પ્રક્રીયાને ધાર્મિક રંગ આપીને તેને રાજકીય રંગ આપવાના પાકિસ્તાનના પ્રયાસને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિષ્ફળતા મળી છે. પાકિસ્તાનના આ પ્રયાસને અવરોધનારા પરિષદના સભ્યો પ્રતિ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચીનનું સમર્થન મેળવી રહેલા પાકિસ્તાને વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિતોની યાદીમાં ચાર ભારતીય નાગરિકોને સમાવવા દરખાસ્ત મુકી હતી. સુરક્ષા પરિષદે તે ચાર નામો પૈકી બે નામને પહેલાં જ ફગાવી દીધા હતા. બાકીના બે નામને ગઇકાલે ફગાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના દાવાના સમર્થનમાં કોઇ નક્કર પુરાવા નહોતા મળ્યા. આ પહેલાં ફ્રાન્સે પરિષદના સભ્યો સાથે મળીને પાકિસ્તાનને પુરાવા રજૂ કરવા સમય આપ્યો હતો. પરંતુ પાકિસ્તાન પોતાના દાવાને પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું
