સુદાનના અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સ 72 કલાકના યુદ્ધવિરામની કરી જાહેરાત
Live TV
-
એક અઠવાડિયાના ભારે સંઘર્ષ બાદ સુદાનના અર્ધલશ્કરી જૂથ રેપિડ સપોર્ટ ફોર્સ 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી. આ સંઘર્ષમાં 350 લોકો માર્યા ગયા હતા જયારે હજારો લોકોએ દેશ છોડી દીધો હતો. જનરલ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાનની આગેવાની હેઠળના SAF અને જનરલ મોહમ્મદ હમદાન દાગલોની આગેવાની હેઠળના રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે હિંસક પ્રદર્શન થયું હતું. યુદ્ધવિરામને લઈને અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને બંને પક્ષો તરફથી શરતોના ઉલ્લંઘનના આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુનાઈટેડ નેશન્સના અહેવાલ મુજબ, ભીષણ લડાઈ વચ્ચે 10થી20 હજાર લોકો જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો જેઓ સુદાન છોડીને પાડોશી દેશમાં ભાગી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સુદાન મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સુદાનમાં ફસાયેલ 3000 ભારતીયોની સુરક્ષા જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ સંબંધિત અધિકારીઓને પ્રયાસ કરી ભારતીયોને સુરક્ષિત પરત લાવવા અથવા પાડોશી દેશમાં સ્થળાંતરિત કરવા આદેશ આપ્યા હતા. ગત સપ્તાહે એક ભારતીયનું સુદનમાં મોત નિપજયું હતું. જે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં યુએન સેક્રેટરી-જનરલ સાથે સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને લડતા પક્ષોને ઈદના અવસર પર 3 દિવસીય યુદ્ધવિરામનું પાલન કરવા અને નાગરિકોને સુરક્ષિત રીતે પસાર થવા દેવાની વિનંતી કરી હતી.
