આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસ ઉજવી પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
Live TV
-
આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે
આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસ ઉજવાઈ રહ્યો છે. આ દિવસે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
અમદાવાદમાં શાહિબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સંભારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટાભાગના IPS અધિકારીઓએ શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર તથા ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ખાસ શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાષ્ટ્રની સેવા દરમિયાન આતંકવાદ કે અન્ય ઘર્ષણમાં શહીદ થયેલ પોલીસ જવાનોની યાદમાં બીએસએફ ફ્રન્ટીયર દ્વારા આજે પોલીસ શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમા દેશના વિવિધ ભાગમાં ફરજ પર શહીદ થયેલા પોલીસ જવાનોના નામનું વાંચન કરીને તેમને યાદ કરીને તેમના પરીવારને શાલ અને મેમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઇપીએસ જી.એસ મલિક દ્વારા શહીદોના નામનું વાંચન કરવામાં આવ્યું હતું. શહીદ થયેલા જવાનોની યાદમાં બીએસએફના હેડ ક્વાટર ગાંધીનગર ખાતે નવા બનેલા શહીદ સ્મારક પર પોલીસ અધિકારી દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ શહીદ દિવસ નિમિત્તે ગુજરાત પોલીસના વિવિધ વિભાગના પોલીસ જવાનો અને અધિકારીઓએ સલામી આપી હતી.
તાપી જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ સંભારણા દિવસે ફરજ દરમિયાન શહીદ થયેલ પોલીસ જવાનોને આપવામાં આવતી શ્રદ્ધાંજલિ રૂપે પરેડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શહિદ થયેલ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આણંદ જીલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે દેશભરમાં ફરજ બજાવતા શહીદ થયેલ તમામ પોલીસ જવાનોને પોલીસ વડા થતા જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પોલીસ જવાનો દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
આઝાદી બાદ સેના, સ્થાનીક પોલીસ દળ, એસઆરપી જેવા અનેક વિભાગમાં દેશની સુરક્ષા માટે કામ કરતા જે જવાનો શહિદ થયેલ હતા તેવોની વિગત વાર નામાવલી પોલીસ વડા મકરંદ ચૌહાણ દ્વારા વાંચવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ વડા દ્વારા પુષ્પોથી શહિદ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
તો છોટાઉદેપુર પોલીસ ગ્રાઉન્ડમાં પોલીસ સંભારણાનો કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર, ડી.વાય.એસ.પી સહિત મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહીદોને સલામી અને શ્રધાંજલિ આપવામાં આવી હતી. વર્ષ 2017 અને 2018માં ફરજ દરમિયાન ગુજરાતના પોલીસકર્મી પ્રવિણ એસ. ચૌધરી અને દેશમાં કુલ 414 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. તે તમામનું નામ લઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સાયલી પોલીસ ટ્રેનીગ સેન્ટર ખાતે પોલીસ શહીદ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમર શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી. પોલીસ ટુકડી દ્વારા શહીદોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. જેમાં દાદર નગર હવેલીના ડીઆઈજી બ્રિજેશકુમાર સીંગ સહીત અન્ય પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. પુષ્પચક્ર અર્પિત કર્યા બાદ દરેક અધિકારી શહીદ સ્મારક સામે ઉભા રહી શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસ બેન્ડ દ્વારા પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ માટે લાસ્ટ પોસ્ટની ધૂન વગાડવામાં આવી હતી.
