ઇસરો અને નાસાનો સંયુક્ત ઉપગ્રહ 30 જુલાઈએ થશે લોન્ચ, આપત્તિ વ્યવસ્થાપનમાં કરશે મદદ
Live TV
-
આ ઉપગ્રહ ખરાબ હવામાન, વાદળો અને વરસાદ છતાં દિવસ અને રાત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તે માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી થશે
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને US અવકાશ એજન્સી નાસાએ સંયુક્ત રીતે એક અત્યાધુનિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ વિકસાવ્યો છે, જે 30 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને ભારતીય નિર્મિત GSLV-F16 રોકેટ દ્વારા 740 કિમીની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ ખરાબ હવામાન, વાદળો અને વરસાદ છતાં દિવસ અને રાત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તેનો ઉપયોગ ભૂસ્ખલન, કુદરતી આફતોનું સંચાલન કરવા અને આબોહવા પરિવર્તન પર નજર રાખવા માટે કરવામાં આવશે.
ISROના ચેરમેને શું માહિતી આપી ?
ISROના ચેરમેન ડૉ. વી. નારાયણને ચેન્નાઈ એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે, આ ઉપગ્રહ માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, ઈસરો હાલમાં 55 ઉપગ્રહોનું સંચાલન કરી રહ્યું છે અને આગામી ચાર વર્ષમાં તેમને ત્રણ અલગ અલગ શ્રેણીઓમાં વિભાજીત કરવાની યોજના છે. નારાયણને સૂર્યનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલા આદિત્ય L1 મિશન વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે, આ ઉપગ્રહ 26 જાન્યુઆરીએ 1.5 કિલો વજન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેણે સૂર્ય સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા ઈસરોને મોકલ્યો છે, જેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ ચાલુ છે.
માનવ મિશનની તૈયારીઓ વિશે વાત કરતા નારાયણને કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બરમાં એક માનવરહિત મિશન લોન્ચ કરવામાં આવશે. જો તે સફળ થશે, તો આવતા વર્ષે વધુ બે માનવરહિત મિશન મોકલવામાં આવશે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલી યોજના અનુસાર, ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન માર્ચ 2027માં લોન્ચ કરવામાં આવશે, જેના માટે શ્રીહરિકોટા ખાતે પ્રથમ લોન્ચ વાહન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ISROના વડાએ ચંદ્રયાન-4 મિશન માટે પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મિશન ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ લાવશે અને ISRO તેને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પછી, ચંદ્રયાન-5 મિશન ભારત અને જાપાનનો સંયુક્ત પ્રોજેક્ટ હશે, જે ચંદ્રની સપાટી પર 100 દિવસ સુધી કામ કરશે.
